વડગામ તાલુકાના હડમતીયા ગામમાં પ્રાથમિક શાળાના ત્રણ રૂમ જર્જરીત હાલતમાં
વડગામ તાલુકાના હડમતીયા ગામમાં પ્રાથમિક શાળા આવેલી છે. જે શાળાના ત્રણ રૂમ જર્જરીત છે. બિપોરજોય વાવાઝોડામાં બાળકો માટે રસોઈ બનાવવા માટેનો મધ્યાહન ભોજનના રૂમના પતરાનો શેડ ઉડી ગયો હતો. બીજી બાજુ સ્કૂલના બીજા ત્રણ જર્જરિત ઓરડા માટે આશરે પાંચ વર્ષ પહેલા તત્કાલીન આચાર્ય દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી.આ અંગે શાળાના આચાર્ય નાનજીભાઈ ગલાભાઈ વણકરે જણાવ્યું હતું કે બિપોરજોય વાવાઝોડામાં મધ્યાહન ભોજનનો પતરાનો શેડ ઉડી ગયો હતો ત્યારે હાલ બીજા એક પતરા તૂટી ગયેલા અને જર્જરીત રૂમમાં બાળકો માટે જમવાનું બનાવવામાં આવે છે અને બાળકો મધ્યાહન ભોજન જમવા માટે બહાર બેસી રહ્યા છે. આના માટે એક મહિના પહેલા જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટરને લેખિત રજૂઆત કરી છે પણ હજુ સુધી કોઈ પરિણામ મળ્યું નથી. આ અંગે શિક્ષણાધિકારીને પણ રજૂઆત કરવામાં આવી હતી.