![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/08-9.jpg)
પાટણ જિલ્લા અને તાલુકા કક્ષાના 13 શિક્ષકોની એવોર્ડ માટે પસંદગી કરાઈ
પાટણ જિલ્લામાં જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક – 2023 માટે જિલ્લા પસંદગી સમિતિ દ્વારા કુલ -13 શિક્ષકોની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે., જેમાં જિલ્લા કક્ષાના એવોર્ડ માટે 4 શિક્ષકો અને તાલુકા કક્ષાએ 9 શિક્ષકોની તાલુકા કક્ષાના એવોર્ડ માટે પસંદગી જાહેર કરવામાં આવી છે.જિલ્લા શિક્ષણ વિભાગના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ પાટણ જિલ્લામાં જિલ્લા કક્ષાના પારિતોષિક અંતર્ગત 2023 ના વર્ષ માટે કુલ 11 દરખાસ્તો મળેલ હતી જેમાં જિલ્લા કક્ષાની સમિતિના કન્વીનર અને જિલ્લા શિક્ષણાધિકારી એ. એન.ચૌધરી તેમજ સભ્યો જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાટણના પ્રાચાર્ય ડો. પિનલબેન ગોરડીયા, કેળવણીકાર ડો.સુરેશકુમાર એસ. પટેલ તેમજ એવોર્ડો શિક્ષક કે.ડી. અખાણીની બનેલી જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા મળેલ કુલ 11 દરખાસ્તો પૈકી ગુણાનુંક્રમે કુલ 4 શિક્ષકોની જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.જિલ્લા કક્ષાના એવોર્ડ વિજેતા શિક્ષકોમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં મદદનીશ શિક્ષક પસાભાઈ રાયમલભાઈ દેસાઈ, માધ્યમિક વિભાગમાં મદદનીશ શિક્ષક દિનેશકુમાર હરજીભાઈ દેસાઈ, પ્રાથમિક વિભાગમાં સીઆરસી વનરાજભાઈ રણછોડભાઈ પટેલ અને પ્રાથમિક વિભાગમાં ઉચ્ચ શિક્ષક મયુરકુમાર મહેન્દ્રકુમાર પટેલની જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લામાં તાલુકા કક્ષાના પારિતોષિક માટે જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ દ્વારા મળેલ દરખાસ્તો પૈકી ગુણાનુંક્રમે કુલ 11 શિક્ષકોની તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.પાટણ જિલ્લામાં તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક માટે પસંદગી પામેલ શિક્ષકોમાં સરસ્વતી અને સિધ્ધપુર તાલુકામાંથી બે બે શિક્ષકો જ્યારે પાટણ, ચાણસ્મા, સમી, રાધનપુર અને સાંતલપુર તાલુકામાંથી એક એક શિક્ષકની પસંદગી થયેલ છે. તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટે પસંદગી પામેલ ઉચ્ચ શિક્ષકોમાં પ્રાથમિક વિભાગમાં સેજલબેન ગોરધનભાઈ પટેલ પાટણ તાલુકો, દિલીપકુમાર પોપટજી ગોહિલ અને વર્ષાબેન મોહનલાલ પટેલ સરસ્વતી તાલુકો, જેસંગજી કડવાજી ઠાકોર અને યાસીનભાઈ મહંમદમીયાભાઈ શેખ સિદ્ધપુર તાલુકો જ્યારે વિપુલકુમાર પ્રહલાદભાઈ પ્રજાપતિ ચાણસ્મા તાલુકો, પ્રજ્ઞાબેન રમેશભાઈ પટેલ સમી તાલુકો, સંગીતાબેન અમૃતલાલ પ્રજાપતિ રાધનપુર તાલુકો અને અનિલકુમાર ખેમચંદભાઈ સોલંકી સાંતલપુર તાલુકાનો સમાવેશ થાય છે. જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક પેટે રૂા.15,000 અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકને પારિતોષિકરૂપે રૂા. 5000 અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવે છે.