ધાનેરામાં ઠેર-ઠેર ગંદકી થી રોગચાળો ફાટી નીકળવાની રહીશોમાં દહેશત
ધાનેરા પાલિકામાં છેલ્લા કેટલાક સમયથી જ્યાં દેખો ત્યાં ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે. લોકો દ્વારા રજૂઆત કરવા છતાં સરકારી બાબુઓ પોતાની એ.સી. ઓફિસ છોડતા નથી અને સફાઇ થતી નથી. જેથી આ ચોમાસામાં રોગચાળો ફાટે તેવી દહેશત જોવા મળી રહી છે.હાઇવે ઉપર ગટાર સાફ કર્યાને બે મહિના થવા આવ્યા છતાં આજ દિવસ સુધી આ કચરાના ઢગલા ઉપાડવામાં ન આવતા અને વરસાદ પણ ધીમોધીમો ચાલુ રહેતા આ કચરાના ઢગલાથી આજુબાજુના લોકોને રહેવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે બીજી તરફ લાધાપુરા વિસ્તારથી ઉમીયાનગર તરફ આવતા રસ્તાની ગટરો ઉભરાતા તે ગંદા પાણી રોડ ઉપર આવી રહ્યા હોવા છતાં પાલિકાના લોકોને ક્યારેય દેખાતા નથી. રામચંદ સ્વરાજ હોસ્પિટલ આગળ, હિંગળાજ સોસાયટીના નાકે, તુલસીનગર શોપિંગ આગળ તેમજ જ્યાં આરોગ્યની સુવિધાઓ પુરી પાડવામાં આવે છે તેવા અર્બન હેલ્થ સેન્ટરના કમ્પાઉન્ડમાં તો પારાવાર ગંદકીના કારણે લોકો ત્રાહીમામ્ પોકારી ઉઠ્યા છે.વેપારી મગનભાઇ પટેલે જણાવ્યું કે જ્યારથી વહીવટદાર આવ્યા ત્યારથી કર્મચારીઓમાં કામ કરવાની દાતન બગડી જવા પામી છે. વહીવટદાર મામલતદાર હોવાથી તેઓ પોતાના ઓફિસના કામમાંથી ટાઇમ ન મળતાં લોકોની સમસ્યાનું સમાધાન થતું નથી.