પાટણમાં તાજીયા જૂલુસના માર્ગ પર સફાઇ કરવા તેમજ ખાડા પુરવા નગરપાલિકામાં તાજીયા કમિટીએ રજૂઆત કરી
પાટણ શહેરમાં આગામી નજીકના દિવસોમાં મુસ્લિમ ધર્મના મોહરમ પર્વ અંતર્ગત તાજિયા ઝુલુસ નીકળનાર છે ત્યારે ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને તાજિયાના રૂટ પરના વિસ્તારોમાં સાફ – સફાઈ અને દવા છંટકાવ તેમજ રોડ પરના ખાડા પુરવા અને રખડતા ઢોરના નિયંત્રણ માટે પગલાં ભરવામાં આવે તે માટે તાજીયા કમિટીના ઉપક્રમે પાટણ નગરપાલિકામાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.પાટણ શહેરમાં તા. 29 અને 30 જુલાઈના રોજ તાજીયા ઝુલુસ નીકળનાર છે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાતા હોઈ તાજીયા જુલૂસના નિયત રૂટ પરના રસ્તાના ખાડા પૂરવા, કાદવ કીચડની સાફ સફાઈ તેમજ દવા છંટકાવ કરવા અને રખડતા ઢોરોથી લોકોને જાનહાની ન થાય તે માટે ઢોર પુરવા ડબ્બો સાથે રાખવા સહિત પગલાં ભરવામાં આવે તે માટે હુસૈનમિયાં સૈયદ (ભુરાભાઈ) સહિત સભ્યો દ્વારા લેખિત રજૂઆત કરાઈ હતી. પાટણમાં તાજીયા જુલૂસના રૂટમાં ખાન સરોવર દરવાજા, ઇમામવાડા, કાલીબજાર, રાજકાવાડા, ઇકબાલચોક, મોહંમદીવાડો, નાનો મોટો ટાંકવાડો, બુકડી, દોસ્તનો મહોલ્લો, પનાગરવાડો, વનાગવાડો,ગુંજશહીરપીર, કાજીવાડો, પિંજારકોટ, લોટેશ્વર, ખાટકીવાડો, લાલ દરવાજા, રતનપોળ, ત્રણ દરવાજા, દોશિવટ બજાર, પિંડારિયાવાડો તથા સોનીવાડા વિસ્તારમાં રસ્તાના ખાડા પુરવા તથા જાહેર નડતરરૂપ વસ્તુઓ અને રખડતા ઢોર ઉપર નિયંત્રણ કરી જંતુનાશક દવા છંટકાવ કરી સાફ સફાઈ કરવા રજૂઆત કરાઈ હતી .