પાટણ જિલ્લા શિક્ષણાધિકારીએ ત્રણ પ્રાથમિક શિક્ષકોનો સજાનો હુકમ રદ કર્યો
પાટણ જિલ્લામાં માર્ચ 2023 માં યોજાયેલ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષાની કામગીરી દરમિયાન પરીક્ષાને લગતી કામગીરીની અવગણના અને ફરજ પ્રત્યે ઉદાસીનતા દાખવવા બદલ ડીઇઓની સૂચના મુજબ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તાલુકાના ત્રણ શિક્ષકોને કારણદર્શક નોટિસ આપી ખુલાસો કરવા જણાવાયું હતું. આ કેસમાં જિલ્લા ટ્રિબ્યુનલ સમક્ષ તાજેતરમાં સુનાવણી યોજાઈ હતી જેમાં શિક્ષકોની રજૂઆત વ્યાજબી અને યોગ્ય જણાતા જિલ્લા શિક્ષણાંધિકારી પાટણ દ્વારા ગુણદોષના આધારે નિર્ણય કરી ત્રણેય શિક્ષકોને કરાયેલ શિક્ષાનો હુકમ રદ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
પાટણ જિલ્લા શિક્ષણાંધિકારીએ જણાવ્યું હતું કે બોર્ડની પરીક્ષા દરમિયાન ખંડ નિરીક્ષક તરીકેની કામગીરીમાં ત્રણ શિક્ષકો દ્વારા બેદરકારી દાખવાઈ હોવાના પાટણ એકસપરીમેન્ટલ હાઈસ્કૂલના સ્થળ સંચાલકના પત્રના આધારે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા બોરસણ પ્રાથમિક શાળાના ઉચ્ચ શિક્ષક ભાવનાબેન આર. રાવલ, ખીમિયાણા પ્રાથમિક શાળાના ઉચ્ચ શિક્ષક પરેશકુમાર ડી. પટેલ અને મહેમદપુર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક યોગીતાબેન પી. પટેલને કારણ દર્શક નોટિસ પાઠવાઈ હતી.જેમાં પરીક્ષાની કામગીરીની તેઓ દ્વારા અવગણના કરાઈ હોવાનું માનીને તેમને કારણ રજૂ કરવા શો કોઝ નોટિસ અપાઈ હતી.
આ બાબતે તાજેતરમાં ટ્રિબ્યુનલના ચેરમેન જિલ્લા શિક્ષણાધિકારી અશોક ચૌધરી સમક્ષ સુનાવણી યોજાઈ હતી જેમાં શિક્ષકોની રજૂઆતો તેમજ સાધનિક આધાર પુરાવા અને મેડિકલ સર્ટી વિગેરે રજૂ કરાતા શિક્ષકોની રજૂઆત વ્યાજબી અને યોગ્ય જણાતા તેમજ તેમની સામેનો ગુનો ગંભીર નહીં જણાતા અપીલ અધિકારી તરીકે ડીઇઓ પાટણ દ્વારા ગુણદોષના આધારે ઉપરોક્ત ત્રણેય શિક્ષકોની સજાનો હુકમ રદ કરવામાં આવ્યો હતો.