સિદ્ધપુરના ગણેશપુરા વિસ્તારમાં ચોમાસામાં રસ્તાની સમસ્યા થી વિદ્યાર્થીઓનો અભ્યાસ ખોરવાયો
સિદ્ધપુર તાલુકાના લવારા ગામે ગણેશપુરા પેપળીયાપુરા વિસ્તારના કાચા નેળીયામાં વરસાદી પાણી ભરાતાં 22 પરિવારને રસ્તાની સમસ્યા વેઠવી પડે છે અને ચોમાસુ દરમિયાન રસ્તાની સમસ્યાએ 30 વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ ખોરવાય છે. શાળાના છાત્રો સહિત લોકોએ કાદવ-કિચડમાંથી પસાર થવું પડે છે. આ સમસ્યા અંગે પંચાયત દ્વારા તંત્રમાં લેખિત મૌખિક રજૂઆત કરાઈ છે.
પરિવારોની રજૂઆતને ધ્યાને લઈ સરપંચ લેખિત મૌખિક તંત્રમાં રજૂઆત કરી ગામથી 700 મીટર ગણેશપુરા અને ગામથી 600 મીટર પેપળીયા પુરા વિસ્તારનો પાકો એપ્રોચ રોડ બનાવવા માંગ કરી છે. તેવું તે વિસ્તારના રહીશો અને સરપંચે જણાવ્યું હતું. લવારા ગામ વસવાટ કરતાં લોકો તેમના માલિકીના ખેતરોમાં પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા હોય એટલે તે ખેતરોમાં છેલ્લા 20 વર્ષથી વસવાટ કરવા લાગ્યા છે. જેમાં લવારા ગામના સીમ વિસ્તારમાં ગણેશપુરા અને પેપળીયાપુરા કાચા નેળીયા વિસ્તારમાં 22 પરિવારો વસવાટ કરી રહ્યા છે.
આ પરિવારના લોકોને ચોમાસામાં ગામ સાથેનો સંપર્ક તૂટી જતો હોય છે. કારણ કે વરસાદી પાણી નેળીયામાં ભરાઈ જતા કાદવ કિચડથી અવર-જવર કરવામાં લોકોને ભારે મુશ્કેલ ઊભી થાય છે. આ પરિસ્થિતિમાં તે વિસ્તારના 30 વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ ચોમાસા દરમિયાન ખોરવાઈ જાય છે. પશુપાલનનું દૂધ ભરાવવા માટે ડેરીએ જવા તકલિફમાં દૂધ ઘરે રાખવું પડે છે. તંત્ર દ્વારા યોગ્ય કરવામાં આવે તેવી આ વિસ્તારમાં સમસ્યાથી ત્રસ્ત લોકો દ્વારા માંગણી કરાઈ છે.