પાટણ જિલ્લામાં સારા વરસાદ બાદ ખેડૂતો વાવેતરમાં જોડાયા
પાટણ જિલ્લામાં ચોમાસામાં ખરીફ પાકના વાવેતરમાં વધારો જોવા મળી રહ્યો છે. બિપરજોય વાવાઝોડાના સમયે વરસાદ થયા બાદ વરાપ નીકળતા અને ત્યારબાદ વાવણીલાયક વરસાદ થતાં જિલ્લામાં વાવેતરે ગતિ પકડી છે અને ખેડૂતો વાવેતરના કામમાં જોતરાયા છે. પાટણ જિલ્લા ખેતીવાડી અધિકારી એમ એસ પ્રજાપતી એ પાટણ જિલ્લામાં ખરીફ પાક વાવેતર બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે, પાટણ જિલ્લામાં ચોમાસું ખેતીની સરેરાશ 3.16 લાખ હેકટર વિસ્તારમાં વાવેતરની સરખામણીએ ચાલુ સાલે હાલની સ્થિતિએ 79,976 હેક્ટર વિસ્તારમાં વિવિધ પ્રકારના પાકોનું વાવેતર થવા પામ્યું છે. પાટણ જિલ્લામાં મુખ્યત્વે બીટી કપાસ, ઘાસચારો, અડદ, બાજરી, મગ, દેશી કપાસ અને ગુવાર જેવા પાકોનું વાવેતર થવા પામેલ છે. જોકે, ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 26,754 હેક્ટરમાં વાવેતર થયું હતું તેની તુલનાએ ચાલુ વર્ષે 79,000 હેક્ટર ઉપરાંત વિસ્તારમાં વાવેતર થવા પામ્યું છે.
શંખેશ્વર તાલુકામાં 5765 હેક્ટર, સિધ્ધપુર તાલુકામાં 7275 હેક્ટર અને સમી તાલુકા વિસ્તારમાં 3475 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયેલ છે. પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લેતા આ પરિસ્થિતિ વાવેતર માટે વધુ અનુકૂળ હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે વરસાદ ખેંચાતા ઉઘાડ નીકળવાના કારણે વરાપ થી ખેડૂતો સારી રીતે વાવેતર કરી શકે છે. જિલ્લામાં ખરીફ વાવેતરમાં ઘાસચારો કઠોળ બાજરી અને દેશી કપાસનું ઉત્પાદન વધવાની શક્યતાઓ છે.