લાખણીમાં દશામાના વ્રતની તડામાર તૈયારીઓ માતાજીનીમાટીની મૂર્તિની બોલબાલા
બનાસકાંઠા જિલ્લામાં દુ:ખડા હરનારી મા દશામાના વ્રતનો ભારે મહિમા છે. કોરોના કાળમાં બે વર્ષ સાદગી પૂર્ણ રીતે વ્રતની ઉજવણી બાદ સતત બીજા વર્ષે વ્રતધારી મહિલાઓમાં વ્રતને લઈ ઉત્સાહ છવાયો છે.તેથી વ્રતની તડામાર તૈયારીઓ થવા લાગી છે.
અષાઢી અમાસને 17 જુલાઈના રોજ દશામાંના વ્રતનો શુભારંભ થાય છે દસ દિવસના આ વ્રતના પ્રથમ દિવસે સવારે શુભ મુહૂર્તમાં મહિલાઓ ઘરે માતાજીની મૂર્તિની સ્થાપના કરે છે અને નકરોડા ઉપવાસ રાખી દસ દિવસ સુધી માતાજીની પૂજા- અર્ચના સાથે ગુણલા ગાય છે.શ્રાવણ સુદ નુમે જાગરણ બાદ શ્રાવણ સુદ દશમના દિવસે વહેલી સવારે શુભ મુહૂર્તમાં માતાજીની મૂર્તિનું નદી કે ગામ તળાવમાં વિસર્જન કરી મનોકામના પૂર્ણ થાય તેવી આશા સાથે વ્રતની પૂર્ણાહુતિ કરે છે. જે વ્રત નજીક આવતા જ મહિલાઓ ઘરની સાફ-સફાઈ સાથે વ્રત ઉજવવાની તૈયારીઓ કરવા લાગી છે.બીજી બાજુ, જિલ્લામાં ઠેર ઠેર આવેલ દશામાના મંદિરો પણ શણગારવામાં આવી રહ્યા છે. પૂજાપા અને સાંઢણી સવાર માતાજીની મૂર્તિઓના સ્ટોલ પણ લાગવા લાગ્યા છે પરંતુ પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલી મૂર્તિઓ વિસર્જન બાદ રઝળે છે. તેથી પર્યાવરણને પણ ધ્યાનમાં રાખી વ્રત ધારી મહિલાઓ દશામાની માટીની નાની જ મૂર્તિનો આગ્રહ રાખે છે.