પાટણની પી.કે.કોટાવાલા આર્ટસ કોલેજ ખાતે યુવા ઉત્સવ કાર્યક્રમ યોજાયો
પાટણની પી.કે. કોટાવાલા આર્ટસ કોલેજ ખાતે નેહરૂ યુવા કેન્દ્ર પાટણ(યુવા કાર્યક્રમ તેમજ ખેલ મંત્રાલય ભારત સરકાર) દ્વારા યુવા ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમમાં 5 જેટલી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં મુખ્ય મહેમાન તરીકે સાંસદ સભ્ય ભરતસિંહ ડાભી ઉપસ્થિત રહ્યા હતા. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજીત આ કાર્યક્રમમાં ચિત્ર સ્પર્ધા, લેખન સ્પર્ધા, મોબાઈલ ફોટોગ્રાફી સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, સાંસ્કૃતિક સ્પર્ધા (સમુહ નૃત્ય) નું આયોજન કરવામાં આવ્યું હતુ. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાના યુવા ઉત્સવમાં અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેની થીમ પંચ પ્રણ ઓફ અમૃત કાળ રાખવામાં આવી છે. આ થીમ અનુસાર પાંર પ્રણમાંથી પહેલું પ્રણ છે વિકસીત ભારતનું નિર્માણ, બીજું પ્રણ- ગુલામીના દરેક વિચારથી મુક્તિ, ત્રીજું પ્રણ- વિરાસત પર ગર્વ, ચોથું પ્રણ-એકતા અને એક જુટતા, તેમજ પાંચમુ પ્રણ છે નાગરિક કર્તવ્ય. આ પાંચેય પ્રણોને ધ્યાનમાં રાખીને રાજ્યમાં યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજરોજ આયોજીત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે જાણકારી મળી રહે તે માટે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ આ પ્રદર્શન નિહાળીને સરકારની યોજનાઓથી વાકેફ થયા હતા. કાર્યક્રમના મુખ્ય મહેમાન એવા સાંસદ સભ્ય ભરતસિંહજી ડાભીએ વિદ્યાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું હતુ કે, નહેરુ યુવા કેન્દ્ર વર્ષોથી કાર્યરત છે. હાલમાં આપણે સૌ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ જેનો ઉદેશ્ય છે યુવાઓમાં છુપાયેલી શક્તિઓને વિવિધ કાર્યક્રમો કરીને બહાર લાવવાનો. આજે વિવિધ ક્ષેત્રમાં પ્રવૃતિમય લોકો કામ કરીને સમાજમાં બદલાવ લાવી શકે છે. એક વાત હંમેશા યાદ રાખવી કે, તમે કઈ જગ્યા પર છો તે નહિ પરંતુ તમારા કામ થકી તમને લોકો યાદ કરે છે. હું તમામ વિદ્યાર્થીઓને અપીલ કરુ છુ કે તેઓ સમાચારપત્રો જરૂરથી વાંચે. સ્પર્ધાઓમાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન. તમામ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય, તૃતિય ક્રમાંક આપીને વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને એવાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.