પાટણ જિલ્લામાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરવા કલેક્ટરને રજૂઆત કરી
પાટણ જીલ્લા કલેકટર કચેરી ખાતે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ જ્ઞાન સહાયક યોજનાને રદ કરવામાં આવે તેવી માંગ સાથે આજરોજ જીલ્લાના ટેટ-ટાટ પાસે શિક્ષિત બેરોજગાર ઉમેદવારોએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી છે.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક યોજના બહાર પાડવામાં આવી છે જે અંતર્ગત 26500 જ્ઞાન સહાયક શિક્ષકોની 11 માસના કરાર આધારીત ભરતી કરવામાં આવશે તેવો ગેરવ્યાજબી નિર્ણય લેવામાં આવ્યો છે જેની સીધી અસર વિદ્યાર્થીઓના શિક્ષણ અને વર્તમાન ટેટ-ટાટ પરીક્ષા પાસ કરનાર બેરોજગાર ઉમેદવારોના હિતમાં નથી. જો આ યોજના અમલમાં આવશે તો શિક્ષિત બેરોજગાર ઉમેદવારોનું શિક્ષક બનવાનું સ્વપ્ન રોળાઇ જશે આથી સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ જ્ઞાન સહાયક યોજના રદ કરવાના વિરોધમાં જીલ્લાના શિક્ષિત બેરોજગાર ઉમેદવારોએ જીલ્લા કલેકટર કચેરી ખાતે જ્ઞાન સહાય યોજના રદ કરો. કાયમી ધોરણે શિક્ષકની ભરતી કરો જેવા સૂત્રોચ્ચાર પોકારી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ત્યારબાદ ઉમેદવારો દ્વારા પાટણ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી શિક્ષિત બેરોજગાર ઉમેદવારોના હિતમાં નિર્ણય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.