પાટણમાં છેવાડાના વર્ગ સુધી બાળકો અને વાલીઓને હેતુથી સેમિનારનું આયોજન
રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ વિવિધ સ્કોલરશીપ યોજનાઓનો યોગ્ય પ્રચાર પ્રસાર થાય અને છેવાડાના વર્ગ સુધી બાળકો અને વાલીઓ આવી સ્કોલરશીપ યોજનાઓ અંગે જાણકાર બની તેનો લાભ લે તે હેતુથી રાજ્યમાં પાટણ જિલ્લાએ પહેલ કરી છે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી પાટણ દ્વારા કોલેજ કેમ્પસ પાટણના મ્યુઝિયમ હોલમાં માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાટણ જિલ્લા શિક્ષણાધિકારી અશોક એન. ચૌધરીની અધ્યક્ષતા અને માર્ગદર્શનમાં આયોજિત આ સેમીનારમાં સરકારની સ્કોલરશીપ અંગેની વિવિધ યોજનાઓનું સંપૂર્ણ અમલીકરણ થાય અને મેરીટમાં આવેલ તમામ વિદ્યાર્થી અને વાલીઓ આ બાબતથી વાકેફ થાય તે માટે વિસ્તૃત જાણકારી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ માર્ગદર્શન સેમિનારમાં પાટણ જિલ્લાની શિક્ષણની સમગ્ર ટીમ શિક્ષણ નિરીક્ષક, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, મદદનીશ શિક્ષણ નિરીક્ષક, તાલુકા કેળવણી નિરીક્ષક, શાળા વિકાસ સંકુલના કન્વીનર, ક્યુડીસી કન્વીનર, બીઆરસી., સીઆરસી વિગેરેને જિલ્લા શિક્ષણાંધિકારી અશોક ચૌધરી દ્વારા માર્ગદર્શન આપી તેમના દરેક શાળાઓના આચાર્ય વાલીઓ અને વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચાડવા સુચના આપવા સાથે અનુરોધ કરવામાં આવ્યો હતો.
રાજ્ય સરકારની વિવિધ સ્કોલરશીપ યોજનાઓ જેવી કે જ્ઞાન સેતુ, જ્ઞાન સાધના અને રક્ષા શક્તિ, જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ શાળાઓનું અમલીકરણ થનાર છે. જ્ઞાનસેતુ અને જ્ઞાનસાધના સ્કોલરશીપ યોજનામાં ધોરણ પાંચમાં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં સળંગ અભ્યાસ કરેલ હોય અને કોમન એન્ટ્સ ટેસ્ટમાં મેરીટમાં સમાવેશ થયેલ હોય તેવા વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપ મેળવવાપાત્ર છે., જેમાં ગુજરાત રાજ્યમાં જ્ઞાનસેતુમાં 30,000વિદ્યાર્થીઓ અને જ્ઞાન સાધનામાં 25,000 વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ મળવાપાત્ર છે.
સ્કોલરશીપમાં વિદ્યાર્થીદીઠ સ્વનિર્ભર શાળામાં પ્રવેશ મેળવે તો તેને ધોરણ છ થી આઠ સુધી રૂપિયા 20000 ધોરણ 9 થી 10 સુધી રૂા.22000 અને ધોરણ 11 થી 12 સુધી રૂા. 25000 જ્યારે સરકારી અને અનુદાનિત શાળામાં ધોરણ છ માં પ્રવેશ મેળવીને ધોરણ 6 થી 12 સુધી અભ્યાસ પૂર્ણ કરે તો તેવા વિદ્યાર્થીઓને ધોરણ છ થી આઠમા રૂપિયા 5000, ધોરણ 9 થી 10 માં રૂપિયા 6000 અને ધોરણ 11 થી 12માં રૂપિયા 7000 સ્કોલરશીપ મળવાપાત્ર હોવાનું જીલ્લા શિક્ષણાંઘિકારી કચેરી દ્વારા જાણવા મળ્યું હતું.