દાંતાની સરકારી હોસ્પિટલમાં પાણી ભરાતા નિકાલ માટે અરજી કરવામાં આવી
દાંતા તાલુકામાં દાંતા મુખ્ય મથક હોવાના કારણે તાલુકાની તમામ સરકારી કચેરીઓ દાંતા ખાતે આવેલી છે. દાંતા તાલુકામાં વસવાટ કરતા લોકોને કોઈપણ સરકારી કામકાજ માટે દાંતા ખાતે આવવું પડતું હોય છે. ચોમાસાની સિઝનમાં દાંતાના અનેકો વિસ્તારોમાં પાણીના ભરાવો જોવા મળતો હોય છે. દાંતા ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં પણ મોટા પ્રમાણમાં પાણીનો ભરાવો થતો હોય છે. જેથી સારવાર અર્થે આવતા દર્દીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. તો સાથે સાથે સરકારી હોસ્પીટલમાં કાર્યરત સ્ટાફને પણ ખૂબજ હાલાકી ભોગવવી પડતી હોય છે.
દાંતા ખાતે આવેલી રેફરલ હોસ્પિટલ હાલમાં દર્દીઓ તેમજ હોસ્પિટલના સ્ટાફ માટે ખૂબજ આફત સમાન થઈ છે. આ સરકારી હોસ્પિટલ નીચાણવાળા વિસ્તારમાં જે તે સમયે બનાવેલી હોવાથી ચોમાસાના સિઝનમાં ત્યાં પુષ્કળ પાણી ભરાઈ જાય છે. તેમજ આવતા જતા રસ્તા ઉપર પણ પાણી ભરાઈ જવાના કારણે ખૂબ જ ગંદકી પેદા થાય છે. ચોમાસામાં નદીનું, ગામનું તેમજ પહાડી વિસ્તારનું પાણી હોસ્પિટલમાં આવી જવાથી ત્યાં દવા કરાવવા આવતા દર્દીઓ તેમજ સ્ટાફને પણ ખૂબ જ હાલાકી ભોગવવાની પરિસ્થિતિ ઉભી થાય છે.
દાંતાના નજીકમાં જ અંબાજી યાત્રાધામ આવેલું હોવાથી ત્યાં રસ્તામાં અવાર નવાર અકસ્માતોની ઘટનાઓ બને છે. જેથી આવા સમયે પણ ખૂબજ મુશ્કેલી ઉભી થાય છે. જેથી સરકારી હોસ્પિટલ દાંતા માટે યોગ્ય નિર્ણય લઈ અને દાંતાના હાઇવે ઉપર આવેલા જુના રે.સ.નં. 21માં બનાવવામાં આવે તો પ્રજાને ભોગવી પડતી મુશ્કેલી દૂર થાય તેમ છે. તો આ અંગે એનઓસીઆઇના ગુજરાત જનરલ સેક્રેટરી ભવાનીસિહ રાઠોડએ આરોગ્ય મંત્રી ગુજરાતને પત્ર લખી દાંતા ખાતે આવેલી સરકારી હોસ્પિટલ માટે યોગ્ય નિર્ણય લેવા માટે પત્ર લખ્યો છે