ચાણસ્મા તાલુકાના સોજિંત્રા ગામે બે સગાભાઈઓનાં ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું
ચાણસ્મા તાલુકાના સોજિંત્રા ગામે રહેતા બે સગાભાઈઓનાં ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ અંદરથી રૂા.48,200ની મતાનાં દાગીના અને અન્ય ચીજ વસ્તુઓની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
આ બનાવની મળતી માહિતી મુજબ ચાણસ્માનાં સોજિંત્રા ગામે રહેતા જયંતિભાઈ ભગવાનભાઈ પટેલ તેમના પાટણ ખાતે રહેતા પુત્ર ચંદ્રકાંતભાઈનાં ઘરે રહેવા ગયા હતા. અને તેઓ ગઈ કાલે પોતાનાં ગામે ગયા હતા. ત્યારે તેમણે ઘરનાં દરવાજાનું તાળુ તુટેલું જોતાં અંદર તપાસ કરતાં ઘરની તિજોરી તોડીને સામાન વેરવિખેર કરીને તસ્કરોએ અંદરથી રૂ 10 હજારની કિંમતની 250 ગ્રામની ચાંદીની બે શેરો, રૂા.5000ની કિમતની સોનાની બે ગ્રામની પટીઓ ચઢાવેલી હાથીદાંતની ચીણીઓ, રૂા.10.000ની કિંમતની બે કડીઓ, રૂ 5000ની કિંમતની નાકની ચુનીઓ, રૂ 500ની ચાંદીની પાતળી સેરના દર દાગીના મળ્યા નહોતા. તથા તસ્કરો ઘરમાંથી અન્ય ચીજવસ્તુઓ જેવી કે, રૂા. 200 ની હાથબત્તી, ઘરનાં મંદિરમાં પડેલા પૂજા માટે રાખેલા રૂ2500ની રોકડ એમ મળી કુલ રૂા.33,200ની રકમની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું.
પાટણ ખાતે રહેતા હોવાનું તેમનું પણ ઘર લાંબા સમયથી બંધ હોવાથી તેમાં પણ તસ્કરોએ હાથફેરો કર્યો હતો. તેની જાણ પણ તેમને કરવામાં આવતાં તેઓ પણ સોજિત્રા ગામે દોડી ગયા હતા અને ઘરમાં તપાસ કરતાં તસ્કરોએ આ ઘરમાંથી પણ સરસ્વતિની રૂ. 1500ની મૂર્તિઓ, તિજોરીમાં મુકેલા રૂા. 10,000 રોકડા, ચાર બ્લેન્કેટ, બે સાડીઓ, મોબાઈલનું બ્લુટુથ, હેડફોન વિગેરે મળી રૂા.3500 મળી કુલ રૂા.15000એમ કુલે બંને ઘરમાંથી રૂા.48200ની મતાની ચોરી કરી ગયા હતા. જે અંગે જયંતિભા પટેલે ચાણસ્મા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.