સિદ્ધપુર તાલુકાના સેદ્રાણામાં 3 માસ પૂર્વે જ બનેલું ગરનાળું ધોવાઈ ગયુ
સિદ્ધપુર તાલુકાના સેદ્રાણા ગામમાં વરસાદી પાણીના નિકાલ માટે ત્રણ મહિના અગાઉ વોટરશેડ યોજના થકી નાળુ બનાવવામાં આવેલ હતું. જે 400 ફૂટના ઘેરાવામાં ભરણી કરેલ હતુ. પરંતુ વોટર શેડ યોજનામા ત્રણ મહિના અગાઉ બનેલ નાળાનું આખેઆખુ સ્ટ્રક્ચર પાઇપો સાથે તૂટીને વરસાદી પાણીમાં ધોવાઈ ગયું હતું. આ અંગે વોટર શેડ યોજનાના કમિટીના મેનેજર વિનોદ પટેલે જણાવ્યુ હતુ કે મારી દેખરેખ હેઠળ ત્રણ મહિના અગાઉ નાળુ બનાવેલ છે. ભારે વરસાદ પડવાથી તૂટી ગયું તો તૂટી ગયું. આવો જવાબ આપતાં તેઓ દ્વારા કરવામાં આવેલ કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ હતી.
ગામ તળાવમાં પાણી જવાના માર્ગ ઉપર ત્રણ માસ અગાઉ નવીન ત્રણ મોટી પાઇપોનું ગરનાળુ બનાવવામાં આવ્યું હતું પરંતુ તાજેતરમાં પડેલા ધોધમાર વરસાદના કારણે પાણીનો પ્રવાહનો માર ઝિલી ન શકતા ગરનાળુ તૂટી ગયું હતું અને તેની પાઇપો બહાર નીકળી ગઈ હતી. જેને લઇ ગામ લોકોમાં આ ગરનાળાએ કામગીરી અંગે ચર્ચા સર્જાઈ છે અને તેના કામની ગુણવત્તા અંગે પણ લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે. કમિટીના પ્રમુખ ઈરફાનભાઈ સુણસરા ના જણાવ્યા મુજબ હજુ ત્રણ મહિના અગાઉ જ નાળુ મંત્રી આબીદલી હમીદ કડીવાલના સમયે નાળુ બનાવેલ હતુ.જેમા મારી દેખરેખની કામગીરી હતી.
સેદ્રાણા ગામમાં 7 ઇંચ વરસાદ પડવાથી ત્રણ મહિના અગાઉ બનાવેલ નાળું તૂટી ગયું હતું. આ અંગે વોટર શેડ યોજના કમિટીના સભ્યો પ્રમુખ ઈરફાનભાઈ સુણસર, મેનેજર વિનોદ પટેલ, મંત્રી આબીદ અલી સાથે વાત કરતાં તેઓએ બધાએ કંઈ કહેવાનું ટાળીને નાળાની કામગીરીમાં કથિત ભ્રષ્ટાચારનો ટોપલો એકબીજા ઉપર ઢોળી રહ્યા હતા.