સિદ્ધપુરનાં સરસ્વતી પુલ પર ખાડો આવતાં રિક્ષા પલટી મારતા મહિલાનું મોત
સિધ્ધપુર હાઇવે ઉપર સરસ્વતિ નદીનાં પુલ ઉપર વહેલી પરોઢે પોણા છ વાગ્યાનાં સુમારે રોડ પરનાં ખાડાનાં કારણે એક રીક્ષાનાં ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતાં તેમાં બેઠેલા મુસાફરો પૈકી એક મહિલાનું મોત થયું હતું. જ્યારે બે જણાને ઈજા થઇ હતી.
સિધ્ધપુર તાલુકાનાં ચંદ્રાવતી ગામે રહેતા સવિતાબેન માવજીભાઇ રાવળ, હિતેન્દ્ર અને બાલુબેન મથુરભાઇ રાવળને લઇને ગામનાં રીક્ષાલક મુકેશ પરસોત્તમ પરમાર રે. ચંદ્રાવતીવાળા રીક્ષા લઇને સિધ્ધપુરની શાકમાર્કેટમાં શાક લેવા જતાં હતા. આ રીક્ષા સરસ્વતિ નદીનાં પુલ ઉપર આવતાં રસ્તામાં ખાડો આવતાં ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતાં રીક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી. જેમાં ત્રણેયને ગંભીર ઇજાઓ થતાં 108 માં સિધ્ધપુરની સિવીલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. જ્યાં સવિતાબેનને માથામાં ગંભીર ઇજા થતાં તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવની જાણ મૃતકનાં પુત્રને થતાં મેહુલ માવજીભાઇ પરમાર ઘટના સ્થળે અને સિવીલમાં દોડી આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો.