ઉત્તર ભારતમાં તાબડતોડ વરસાદ, 40 લોકોનાં મોત; જાણો કયા વિસ્તારમાં કેટલો વરસાદ ખાબક્યો
ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં છેલ્લા બે દિવસથી કુદરતનું ઉગ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. હિમાચલ પ્રદેશથી લઈને રાજસ્થાન સુધી વરસાદે એવી તબાહી મચાવી છે કે બધા મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં વરસાદ દુર્ઘટનાના રૂપમાં આવ્યો છે, જેના કારણે સર્વત્ર તબાહી મચી ગઈ છે. હવામાન વિભાગના આંકડા પણ સાક્ષી પૂરે છે કે આ ભારે હવામાન કેટલું ભયાનક રહ્યું છે. માત્ર એક દિવસના રેકોર્ડ પર નજર કરીએ તો કેટલીક જગ્યાએ સામાન્ય કરતાં 1000 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.
9 અને 10 જુલાઈનો દિવસ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ બધાને યાદ હશે. ઉત્તર ભારતનો એવો કોઈ વિસ્તાર નથી જ્યાં વરસાદને કારણે ખરાબ સ્થિતિ ન બની હોય. પહાડી વિસ્તારોમાં નદીઓએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું, પહાડ પરથી કાટમાળ પડ્યો અને ઘણી જગ્યાએ રસ્તાઓ બંધ થઈ ગયા, પુલ તૂટી ગયા અને એટલું જ નહીં, મકાનો ધરાશાયી થઈ ગયા. સ્થિતિ એવી છે કે રાજ્યના મુખ્યમંત્રી આ વરસાદને રાષ્ટ્રીય આફત જાહેર કરવાની માંગ કરી રહ્યા છે.
આ વરસાદથી માત્ર પહાડો જ નહીં મેદાની વિસ્તારોનાં લોકો પણ પરેશાન છે. દિલ્હી, ચંદીગઢ, અંબાલા સહિતના મોટા શહેરોમાં વરસાદને કારણે અનેક વિસ્તારો તળાવ બની ગયા હતા. દિલ્હીમાં વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા, ચંદીગઢ-અંબાલામાં પણ રસ્તાઓ પર વાહનો તરતા જોવા મળ્યા હતા. વરસાદે કેવી તબાહી મચાવી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઉત્તર ભારતમાં અત્યાર સુધીમાં લગભગ 40 લોકોએ તેના કારણે જીવ ગુમાવ્યા છે.
Tags india rain Rakhewal uttar bharat