હવે વંદે ભારત ટ્રેન જોવા મળશે ભગવા રંગમાં, કેન્દ્રીય રેલવે મંત્રીએ શેર કરી તસ્વીરો
વંદે ભારત ટ્રેનને લઈને ભારતીય રેલવે તરફથી એક સારા સમાચાર આવી રહ્યા છે. હવે રેલવેએ મુસાફરોને મોટી રાહત આપવાનો નિર્ણય કર્યો છે. માહિતી આપતાં રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે હવે વંદે ભારત ટ્રેનમાં ઘણા મોટા ફેરફાર કરવામાં આવશે. તમિલનાડુના ચેન્નાઈ સ્થિત ઈન્ટિગ્રેટેડ કોચ ફેક્ટરી (ICF)ની મુલાકાત લીધા બાદ રેલવે મંત્રીએ આ જાહેરાત કરી છે. હાલમાં વંદે ભારત ટ્રેનના મેકઓવરની યોજના બનાવવામાં આવી રહી છે.
ટૂંક સમયમાં તમને વાદળી રંગવાળી વંદે ભારત ટ્રેન નારંગી અને ગ્રે કલરનાં કોન્બીનેશનમાં જોવા મળી શકે છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે વંદે ભારત ટ્રેનમાં 25 નવા વિકાસ કરવામાં આવ્યા છે અને આ તમામ ફેરફારો મુસાફરોના પ્રતિસાદના આધારે કરવામાં આવ્યા છે.
ટ્રેનનો નવો રંગ ત્રિરંગા પરથી લેવામાં આવ્યો છે
રેલ્વે મંત્રીએ કહ્યું કે વંદે ભારત ટ્રેનને મળેલા ફીડબેકના આધારે જ ટ્રેનમાં કામ કર્યું છે અને ફેરફારો કર્યા છે. આ સાથે જ નવા સેફ્ટી ફીચર એન્ટી ક્લાઈમ્બર્સ પર પણ કામ કરવામાં આવી રહ્યું છે. વંદે ભારતના નવા રંગ પર રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે તિરંગામાંથી નવો રંગ લેવામાં આવ્યો છે.
રેલવે બોર્ડે અગાઉ ICF ચેન્નાઈને વંદે ભારત ટ્રેનને નવા રંગમાં ડિઝાઇન કરવા જણાવ્યું હતું. આ સાથે, રંગ બદલવાથી ટ્રેનની જાળવણી અને દેખરેખમાં પણ ઘણો ફાયદો થશે. હાલમાં ઓરેન્જ અને ગ્રે કલરની વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. ફીડબેકના આધારે આગળ પણ આ રંગ કે થીમ અપનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ટ્રેનમાં ડિસ્કાઉન્ટનો લાભ પણ મળશે
આ સિવાય હવે રેલવેએ વંદે ભારત ટ્રેનમાં પણ ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય કર્યો છે. અનુભૂતિ અને વિસ્ટાડોમ કોચ સહિત એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ક્લાસના ભાડામાં 25 ટકા ડિસ્કાઉન્ટ સ્કીમ રજૂ કરવામાં આવી છે. જ્યારે, અન્ય ચાર્જ જેમ કે રિઝર્વેશન ફી, સુપર ફાસ્ટ સરચાર્જ, GST વગેરે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો પર અલગથી વસૂલવામાં આવશે.
Tags india Rakhewal train vande bharat