![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/07/07-7.jpg)
વાહણાગામની સેમાણીપુરા શાળાના બાળકોને પતરાના શેડ નીચે ભણવા માટે મજબૂર
સરસ્વતીના વાહણા ગામની સેમાણીપુરા પ્રાથમિક શાળામાં 7 મહિના પહેલા 3 જર્જરીત ઓરડાઓ તોડી પડાતાં વાલીઓના મકાન અને પતરાંનાં શેડ નીચે છાત્રો બે પાળીમાં અભ્યાસ કરી રહ્યા છે. વાહણા ગામથી બે કિલોમીટર દૂર આવેલ સેમાણીપુરા પ્રાથમિક શાળામાં ધો.1થી 8માં કુલ 166 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
જેમાં 3 ઓરડાઓ જર્જરિત બનતાં તંત્ર દ્વારા ઊતારી લેવા ફરમાન કરતાં 7 મહિના અગાઉ તોડી પાડ્યા છે. બાળકોને અભ્યાસ કરાવવા કોઈ વિકલ્પ નહીં મળતાં વાલીઓના મકાનમાં અને પતરાંના સેડ નીચે બાળકોને બેસાડીને બે પાળીમાં શાળા ચલાવવાનો વારો આવ્યો છે. જેમાં ધો.1,2,3,4,5ના બાળકોને સવારની પાળીમાં અભ્યાસ કરાવાય છે. જ્યારે ધો.6,7,8 બપોરની પાળીમાં અભ્યાસ કરી રહ્યા છે.
કોન્ટ્રાકટર માર્ચ મહિનાના છેલ્લા દિવસોમાં પાયાનું મુહૂર્ત કરી અને ખાડા ખોદી ફરીવાર ત્રણ મહિનાથી કામ ચાલુ કરેલ નથી જેથી ઉંડા પાયાનું ખોદકામ હોવાથી અકસ્માતનો ભય સતાવે છે જેથી જેથી ઝડપી કામ શરૂ કરી બાળકોને શિક્ષણની વ્યવસ્થા મળે તે જરૂરી છે.
સરકારે નવિન 3 માળનું 7 ઓરડા પ્રાથમિક શાળા માટે મંજૂર કરી કોન્ટ્રાકટ અપાયો છે. કોન્ટ્રાકટરે ત્રણ મહિના પહેલા પાયા ખોદી કામ શરૂ કરેલ છે. સિમેન્ટ, રેતી અને કપચી ઉતારી કામની શરૂઆત કરી હતી.પણ 3 માસથી કોન્ટ્રાકટર વાયદા બતાવે છે તેવું આચાર્યએ જણાવ્યું હતું.
કામ શરૂ ના થતા સિમેન્ટ થેલીઓ ખરાબ થઈ
વાલીઓએ જણાવ્યું હતું કે નવિન ઓરડાઓ માટે સિમેન્ટ ઉતારવામાં આવ્યો હતો તે 250 થેલી સિમેન્ટ ગઠ્ઠા થઈ ગયા છે . અમે અમારા બાળકોને અમારા ઘરોમાં બેસાડી અભ્યાસ માટે વ્યવસ્થા કરી આપી હતી. પણ કોન્ટ્રાક્ટરની ઢીલી નીતિના કારણે કામકાજ અટકી પડ્યું છે અને સિમેન્ટ ત્રણ મહિનાથી પડી હોવાથી ગઠ્ઠા થઈ ગયા છે જેથી સરકારના રૂપિયા આમજ વેડફાઈ રહેશેે.