![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/07/14-3.jpg)
પાટણમાં હટાવેલી લારીઓ ફરી ગોઠવાઈ : દબાણ હટાવવાનું નાટક
પાટણ શહેરમાં ટ્રાફિકની સમસ્યા રોજબરોજ વધી રહી છે ત્યારે ટ્રાફિક પોલીસ અને નગરપાલિકા ના સંયુક્ત ઉપક્રમે દબાણ હટાવવાનો કાર્યક્રમ મંગળવારે રાખવામાં આવ્યો હતો જેમાં બગવાડા દરવાજાથી પોસ્ટ ઓફિસ રેલવે સ્ટેશન સુધી શાકભાજીની લારીઓ તેમજ અન્ય વ્યવસાયકારોની લારીઓને ખાડીયા રોડ ઉપર ખસેડવામાં આવી હતી . અંદાજે 100 જેટલી લારીઓ મુખ્ય રસ્તા પરથી હટાવવામાં આવી હતી.આ ઉપરાંત નવજીવન ચોકડી થી ઊંઝા ત્રણ રસ્તા તરફ એસટી બસ સ્ટેશન સુધી ટ્રાફિક વધારે રહેતો હોવાથી તે સ્થળે પોલીસ અને પાલિકા દ્વારા વ્યાપાર ધંધા વગર પડી રહેલ સ્ટીલ નું મોટું કાઉન્ટર , સર્કલ ઉપરથી ચાર જેટલી લારીઓ બિન વારસી હાલતમાં પડેલી હતી તે ઉઠાવવામાં આવી હતી.
પાટણ રેલવે સ્ટેશન પાસે કરિયાણા ની દુકાન નો લોખંડનો શેડ દૂર કરવામાં આવ્યો હતો. જોકે ટીમ દબાણ દૂર કરી પરત જતાં જ ફરી બપોર બાદ ગૌરવ પથ ઉપર રાબેતા મુજબ શાકભાજીના ફેરીયાઓ, રિક્ષા ચાલકો ગોઠવાઈ ગયા હતા. વેપારીઓએ શેડ બાંધી દીધા હતા. સ્થિતિ જૈસે થે જોવા મળી હતી. આવું પ્રથમ વાર નહીં પરંતુ અગાઉ પણ અનેક વાર ગૌરવ પથ ઉપર દબાણો દૂર કરાયાના કલાકો બાદ ફરી એ જ દબાણો થઈ જાય છે.
આ કાર્યવાહી અંગે નગરપાલિકા સ્વચ્છતા શાખાના સેનેટરી ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે પોલીસ અને પાલિકા દ્વારા પટણી સમાજના આગેવાનો સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી .સમસ્યાનું કાયમી નિવારણ આવે તે રીતે વેપાર રોજગાર કરવા સુચિત કરવામાં આવ્યું હતું. અગાઉ જેવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે પણ ટકોર કરવામાં આવી હતી. જ્યારે ટ્રાફિક પી.એસ.આઇ એ જણાવ્યું કે તેઓ બીજા કાર્યક્રમમાં હતા અને લારીઓ ફરીથી ગોઠવાઈ ગયાની તેમને જાણ નથી.