![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/07/03-6.jpg)
પાટણમાં વિસ્તારમાં રહેતા 96 બાળકોને કલેકટરના હસ્તે કીટનું વિતરણ કરાયું
પાટણ જિલ્લા સેવા સદન ખાતે શેરી-સ્લમ વિસ્તારમાં રહેતા બાળકોને કલેકટર નાં હસ્તે શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતુ. કલેકટર ના અધ્યક્ષ સ્થાને આયોજીત આજના કાર્યક્રમમાં બાળ સુરક્ષા વિભાગના સંકલન થકી નીરજ સેવા ટ્રસ્ટ, રોટરી ક્લબ ઓફ પાટણ અને શ્રીજી એન્ટરપ્રાઈઝના દાતાઓ દ્વારા શેરી સ્લમ વિસ્તારના 96 બાળકોને શૈક્ષાણિક કીટ આપવામાં આવી હતી. જિલ્લા સેવા સદનનાં કોન્ફરન્સ હોલમાં જયાં અધિકારીઓ બેસતા હોય તે જગ્યા પર બાળકોને બેસાડીને જિલ્લા કલેક્ટરએ કીટ વિતરણ કરી હતી. સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ-દિલ્હી દ્વારા બાળ સ્વરાજ પોર્ટલની રચના કરવામાં આવી છે, જેમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ પાટણ, ચાઈલ્ડ વેલ્ફેર કમિટી પાટણ ચાઈલ્ડલાઈન 1098 વગેરેના ટીમ વર્કથી એવા બાળકો જે કોઈ પણ આધાર વગર શેરીમાં એકલા રહે છે, એવા બાળકો જે દિવસ દરમિયાન રસ્તા ઉપર રહે છે અને નજીકની ઝુપડ પટ્ટી સ્લમ વિસ્તારમાં તેમના પરિવાર સાથે રાત્રે ઘરે પાછા જાય છે, તેમજ એવા બાળકો જે તેમના પરિવાર સાથે શેરી પર રહે છે. આવા બાળકોનો સર્વે કરી 6 જેટલા બાળકોની બાળ સ્વરાજ પોર્ટલ પર નોંધણી કરવામાં આવી છે. જેમાં પાટણ તાલુકા વિસ્તારમાં આવેલ હાંસાપુર દૂધ સાગર ડેરી, APMC, માખણીયા પુરા, બસાતપુરા, મીરા દરવાજા, ઓડવાસ વગેરે વિસ્તારમાં રહેતા બાળકોને કલેકટર ના હસ્તે શૈક્ષાણિક કીટ આપવામા આવી હતી.
શૈક્ષણિક કીટમાં દફતર, નોટબુક, કંપાસ, પેન્સિલ, સ્લેટ, પાણીની બોટલ વગેરે આપવામા આવ્યુ હતુ. બાળકો આ કીટ મેળવીને ખુશખુશાલ થઈ ગયા હતાં. ધો.4 માં અભ્યાસ કરતી કરીના મુકેશ ઠાકોર જણાવે છે કે આજે મને દફતર,પાટી, પેન્સિલ, નોટ બધુ મળ્યું છે તે લઇને હુ રોજ ભણવા જઈશ. તો ઠાકોર ક્રિશ્ના કંસાજી પણ શૈક્ષણિક કીટ જોઈને ખુશખુશાલ થતા કહે છે કે હુ પણ આ બધુ લઇને ભણવા જઈશ.
માન.વડાપ્રધાન હંમેશા કહે છે કે દિકરો હોય કે દિકરી એને ભણાવવું જોઈએ. તેઓનું સ્વપન છે કે દેશમાં શિક્ષણનું પ્રમાણ વધે. કારણ કે, ભણશે ભારત તો જ આગળ વધશે ભારત. રાજયનું કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય. તેથી જ પાટણ જિલ્લાનું વહીવટીતંત્ર પણ આ મામલે કામગીરી કરી રહ્યુ છે અને જિલ્લા બાળ સુરક્ષા વિભાગનાં સહયોગમાં રહીને વિવિધ સંસ્થાઓ પણ આગળ આવીને બાળકો માટે કામગીરી કરી રહી છે.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયને પણ દરેક વાલીઓને દિકરો હોય કે દિકરી તેમને ભણાવવા માટેની અપીલ કરી હતી. તેમજ સેવાભાવી સંસ્થાઓએ બાળકો માટે આગળ આવીને જે કાર્ય કર્યું તેને બિરદાવ્યું હતુ.અને તમામ સંસ્થાઓનો આભાર પણ વ્યકત કર્યો હતો.