![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/07/20.jpg)
શંખેશ્વરની રાજપુરા પ્રાથમિક શાળાના બાળકો પંચાયત ઓફિસ અને મંદિરમાં ભણવા માટે બન્યા મજબૂર
શંખેશ્વર તાલુકાની સેવાડે આવેલા રાજપુરા ગામે ધોરણ 1 થી 8ની પ્રાથમિક શાળામાં કુલ 170 વિધાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં ગામ વચ્ચે આવેલી જૂની પ્રાથમિક શાળાના તમામ 5 વર્ગખંડ (ઓરડાઓ) હતા જે ગયા વર્ષે તંત્ર દ્વારા ડેમેજ જર્જરીત જાહેર કરાતા જમીનદોસ્ત કરવાનું ફરમાન આવતા તમામ ઓરડાઓ જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. અન્ય કોઈ જગ્યાએ બાળકોને અભ્યાસ કરાવવા માટેનો વિકલ્પ નહી મળતા શાળા ગ્રામપંચાયતની ઓફિસમાં અને શંકર ભગવાનના મંદિરના સેડમાં બાળકોને બેસાડીને બે પાળીમાં શાળા ચલાવવાનો વારો આવ્યો છે. ધોરણ 1 અને ધોરણ 2ના ભૂલકાંઓ શંકર ભગવાનના મંદિર આગળ પતરાંનાં સેડ નીચે અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે તળાવની નજદીક આવેલ નવીન ગ્રામ પંચાયત ઓફિસના મકાનમાં સવારની પાળીમાં ધોરણ 3 ,4,5ના બાળકોને અભ્યાસ કરાવાય છે. ધોરણ 6.7.8 બપોરની પાળીમાં ગ્રામ પંચાયત ઓફિસમાં અભ્યાસ કરી રહ્યા છે. આવીજ પરિસ્થિતિ નવી કુંવર ગામની પ્રાથમિક શાળાની હાલત પણ જાણવા મળી હતી ત્યાં પણ બે વર્ષથી નવીન ઓરડાઓ નહી બનતા પ્રાથમિક શિક્ષણનું ભાવિ ધૂંધળું બન્યું છે.રાજપુરા ગામના સરપંચ જણાવ્યા મુજબ જુના ઓરડાઓ જર્જરીત જાહેર કરાતા જમીનદોસ્ત કરવાનો ઓર્ડર આવતા પાડ્યા હતા. ગ્રામ પંચાયતની ઓફિસનું મકાન નવીન બનાવેલું હોઈ પ્રાથમિક શાળાના બાળકોને ત્યાં અભ્યાસ કરાવવાની માંગણી કરાતા ત્યાં વ્યવસ્થા કરી આપી છે. નવીન ઓરડાઓ મંજૂર થતાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈને કોન્ટ્રાક્ટ પણ અપાયો હોવા છતાં કામ ચાલુ કરાતું નથી ઝડપી કામ શરૂ કરી બાળકોને શિક્ષણની વ્યવસ્થા મળે તે જરૂરી છે.