પૂરગ્રસ્ત શાળાઓમાં શિક્ષકોએ જાતે સફાઇ કરી સ્વચ્છ શાળા બનાવી દીધી
ધાનેરા તાલુકામાં ભારે પુરના કારણે તાલુકાની 12 શાળાઓમાં પુરના પાણી ભરાવાના કારણે શાળાઓમાં માટી જામી જવા પામી હતી અને પાણીના કારણે સામાનને પણ નુકસાન થવા પામ્યું હતું. આ શાળાઓમાં શિક્ષકોએ જાતે સફાઇ કરીને શાળાઓને સ્વચ્છ બનાવી હતી.
ધાનેરા તાલુકામાં પુરના કારણે 12 શાળાઓમાં પાણી તથા માટી ભરાઇ જવાના કારણે ભારે નુકસાન થવા પામ્યું હતું. જેમાં જડીયા ગામની પટેલવાસ પ્રાથમિક શાળામાં અતિ ભારે પુરના કારણે ડેમેજ થવા પામી હતી અને તમામ સામાન પણ પાણીમાં ધોવાયો હતો. આ બાબતે ધાનેરા પ્રાથમિક શિક્ષણાધિકારી જાગૃતીબેન દેસાઇએ આ શાળાઓની મુલાકાત લીધી હતી. જે દરમિયાન જે – જે શાળાઓમાં પુરની માટી જામી હતી તે શાળાઓમાં મજુર ન મળતા શિક્ષકો જાતે સફાઇ કરતા જોવા મળ્યા હતા. જેથી આ શિક્ષકોની કામગીરીને પણ બીરદાવી હતી.
તાલુકાની 12 પુરગ્રસ્ત શાળાઓ પૈકીની 11 શાળાઓ પણ ગુરુવારથી રાબેતા મુજબ ચાલુ થઈ જશે. ત્યારે વધુ ક્ષતિગ્રસ્ત જડીયાની પટેલપુરા શાળા બંધ રહેવા પામી છે. આ બાબતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જાગૃતિબેન દેસાઇએ જણાવ્યું હતું કે ગુરુવારથી જે શાળાઓ પુરગ્રસ્ત હતી તેમાંની તમામ શાળાઓ ચાલુ કરી દેવામાં આવી છે અને જે જડીયા ગામની પટેલવાસ પ્રાથમિક શાળા છે તે પણ શુક્રવારથી મંદિરના પટાંગણમાં શરૂ કરી દેવામાં આવશે. કેમકે આ શાળામાં વધારે પુર ના પાણી ચાલવાના કારણે હાલ બેસી શકાય તેમ નથી અને જે શિક્ષકોએ જાતે મહેનત કરીને પોતાની શાળા એક મંદિર સમજીને સફાઇ કરી છે તેમને પણ ધન્યવાદ છે.