ચોમાસાના આગમનને કારણે પેટ્રોલ-ડીઝલના વેચાણમાં ઘટાડો
ચોમાસાના આગમનને કારણે જૂનના પ્રથમ પંદર દિવસમાં પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. ચોમાસાને કારણે કૃષિ સેક્ટરમાં ઇંધણની માગ ઘટી છે જ્યારે બીજી તરફ વાહનોની અવરજવર ઘટવાથી પણ પેટ્રોલ અને ડીઝલના ઉપયોગમાં ઘટાડો નોંધાયો છે.
એક થી ૧૫ જૂન સુધીના સમયગાળામાં ડીઝલની માંગ ૬.૭ ટકા ઘટીને ૩૪.૩ લાખ ટન રહી છે. આ જ સમયગાળા દરમિયાન પેટ્રોલનું વેચાણ ૫.૭ ટકા ઘટીને ૧૩ લાખ ટન રહ્યું છે. માગમાં આ ઘટાડો ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં થયો છે.
જો કે આ સમયગાળા દરમિયાન વિમાન ઇંધણની માગમાં ૨.૬ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. એક જૂનથી ૧૫ જૂન સુધીના સમયગાળામાં જેટ ફ્યુઅલ (એટીએફ)નું વેચાણ ૨,૯૦,૦૦ ટન રહ્યું છે.
એક જૂન થી ૧૫ જૂન, ૨૦૨૧ની સરખામણીમાં એટીએફનું વેચાણ ૧૪૮ ટકા વધારે છે. જો કે ૨૦૧૯ના એક જૂનથી ૧૫ જૂન સુધીના સમયગાળા કરતા ૨૦૨૩ના એક જૂનથી ૧૫ જૂન સુધીના સમયગાળામાં થયેલ એટીએફનું વેચાણ ૬.૮ ટકા ઓછું છે.
એક જૂન થી ૧૫ જૂન, ૨૦૨૩ના સમયગાળામાં એલપીજીનું વેચાણ ૧.૩ ટકા ઘટીને ૧.૧૪ અબજ ટન રહ્યું છે. આ વેચાણ ૨૦૨૧ અને ૨૦૧૯ના સમાન ગાળાની સરખામણીમાં અનુક્રમે ૩.૩ ટકા અને ૨૬.૭ ટકા વધારે રહ્યું છે.
Tags india New Delhi rakhewaldaily