![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/06/013.jpg)
નેહરુ મેમોરિયલનું નામ બદલવા પર ખડગેએ કહ્યું, જેમના કોઈ ઈતિહાસ નથી, તેઓ બીજાના ઈતિહાસને ભૂસવા ચાલ્યા
દિલ્હીમાં તીન મૂર્તિ માર્ગ પર સ્થિત ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના સત્તાવાર નિવાસસ્થાનની અંદર આવેલા નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઈબ્રેરીનું નામ બદલીને હવે વડાપ્રધાન મ્યુઝિયમ અને સોસાયટી રાખવામાં આવ્યું છે. ગઈકાલે NMML સોસાયટીની એક વિશેષ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેની અધ્યક્ષતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે કરી હતી, જે આ સોસાયટીના ઉપાધ્યક્ષ છે.
નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઈબ્રેરી દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુનું નિવાસસ્થાન છે. તે આ ઘરમાં રહેતા હતા. વડાપ્રધાન બન્યા બાદ નેહરુ તેમના અંતિમ શ્વાસ સુધી આ ઘરમાં રહ્યા હતા. તેમના મૃત્યુ બાદ સરકારોએ નિવાસસ્થાનમાં એક પુસ્તકાલય બનાવ્યું, જેમાં દેશના પત્રકારો, લેખકો અને સંશોધન વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તે હવે કેન્દ્રની મોદી સરકારે નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરીનું નામ બદલીને વડાપ્રધાન મ્યુઝિયમ અને સોસાયટી કરી દીધું છે.
NMML સોસાયટીના આ નિર્ણયથી કોંગ્રેસમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા એક ટ્વિટ કરવામાં આવી હતી જેમા મેમોરિયલ મ્યઝિયના નામ બદલવાને લઈને પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા હતા અને લખ્યુ હતું કે જેમનો કોઈ ઈતિહાસ નથી તેઓ બીજાના ઈતિહાસ ભૂસવા ચાલ્યા છે. તેમણે વધુમાં લખ્યુ હતું કે નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરીનું નામ બદલવાનો પ્રયાસથી આધુનિક ભારતના શિલ્પકાર અને લોકશાહીના નિર્ભય પ્રહરી પંડિત જવાહરલાલ નેહરુના વ્યક્તિત્વને ઓછો કરી શક્શે નહીં. આ ભાજપ-RSSની નીચી માનસિકતા અને તાનાશાહી વલણ જ દર્શાવે છે. મોદી સરકારની નાની વિચારસરણી ભારત પ્રત્યેના ‘હિંદના જવાહર’ના વિશાળ યોગદાનને ઘટાડી શકતી નથી! આ પહેલા કોંગ્રેસના નેતા જયરામ રમેશે નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાયબ્રેરીના નામ બદલવાને લઈને પીએમ મોદી પર પ્રહારો કર્યા હતા અને તેમને સંકુચિત અને બદલાખોર વ્યક્તિ ગણાવ્યા હતા.