![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/06/007.jpg)
UNમાં પીએમ મોદીના પ્રસ્તાવને 190 દેશોનું સમર્થન, જવાનોને સમર્પિત સ્મારક વોલ બનાવાશે
ભારત દ્વારા રજૂ કરાયેલા ઠરાવને UNએ સ્વીકારી લીધો છે. આ પ્રસ્તાવ હેઠળ સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં એક સ્મારક દિવાલનું નિર્માણ થવાનું છે. આ સ્મારક વોલ પર UNના પીસકીપિંગ મિશનમાં પોતાના જીવનનું બલિદાન આપનારા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. UNમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે આ ઠરાવ રજૂ કર્યો હતો, જેને 190 દેશોએ સમર્થન આપ્યું હતું.
UNએ આ પ્રસ્તાવને સ્વીકારી લીધો અને કહ્યું કે મેમોરિયલ વોલ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં યોગ્ય અને અગ્રણી સ્થાને બાંધવામાં આવશે. આ વોલ શાંતિ મિશન દરમિયાન બલિદાન આપનાર જવાનોના સન્માનમાં બનાવવામાં આવશે. UNમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે કહ્યું કે આ સ્મારક વોલ પ્રતીક કરશે કે શા માટે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ પર આટલો ભાર મૂકે છે. ઉપરાંત તે લોકોને યાદ અપાવશે કે વિશ્વએ તેમના નિર્ણયો માટે કેટલી કિંમત ચૂકવી છે.
ભારતના આ પ્રસ્તાવને 18 દેશમાં દાખલ કરવામાં આવ્યા હતો જેમા બાંગ્લાદેશ, કેનેડા, ચીન, ડેનમાર્ક, ઇજિપ્ત, ફ્રાન્સ, ભારત, ઇન્ડોનેશિયા, જોર્ડન, નેપાળ, રવાન્ડા અને અમેરિકા સહિતના દેશો સામેલ થયા છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે આ સ્મારક વોલનું નિર્માણ ત્રણ વર્ષમાં પૂર્ણ થશે. ભારતે વર્ષ 2015માં UNમાં એક વર્ચ્યુઅલ સ્મારક વોલ લોન્ચ કરી હતી, જેમાં શાંતિ મિશનમાં બલિદાન આપનાર ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UNમાં મેમોરિયલ વોલના નિર્માણના પ્રસ્તાવને મંજૂરી મળવા પર ખુશી વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ આ પ્રસ્તાવને સમર્થન આપવા માટે તમામ દેશોનો આભાર માન્યો હતો. જ્યારે પીએમ મોદી વર્ષ 2015માં અમેરિકાના પ્રવાસે ગયા હતા ત્યારે સંયુક્ત રાષ્ટ્રમાં પોતાના ભાષણમાં પીએમ મોદીએ શાંતિ મિશન દરમિયાન પોતાના જીવનનું બલિદાન આપનારા સૈનિકોની યાદમાં એક સ્મારક વોલ બનાવવાનું સૂચન કર્યું હતું. આ જ કારણ છે કે જ્યારે ભારતના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે, ત્યારે પીએમ મોદીએ ટ્વિટ કરીને તેના પર ખુશી વ્યક્ત કરી છે.