ડીસામાં મોટાભાગની હોસ્પિટલોમાં ફાયર સેફટીનો અભાવ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : અમદાવાદની શ્રેય હોસ્પિટલના અગ્નિકાંડથી બનાસવાસીઓ પણ હતપ્રભ બની ગયા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં તબીબી ક્ષેત્રે નામના ધરાવતા ડીસા નગરમાં હાઇવે સ્થિત ડોકટર હાઉસમાં અનેક ખાનગી હોસ્પિટલ ધમધમી રહી છે. અદ્યતન સારવારના દાવા કરતી આ હોસ્પિટલોમાં ફાયર સેફટીનો સદંતર અભાવ જોવા મળ્યો છે આગ જેવી કોઈ આકસ્મિક દુર્ઘટના બને તો આ હોસ્પિટલોમાં મોટી જાનહાની થવાની શકયતા રહેલી છે. આ બાબતે ડીસા પાલિકાના ફાયર સુપ્રીટેડેન્ટ દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા તબીબોને છૂટો દોર મળી રહ્યો છે.
કોરોના મહામારી વચ્ચે અમદાવાદ ખાતે આવેલી શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ ના પગલે કોરોના વોર્ડમાં સારવાર લઈ રહેલા આઠેક દર્દીઓના આગથી કરુણ મોત નિપજતા સમગ્ર દેશમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. જોકે તપાસ બાદ હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ હોવાનું બહાર આવતા હોસ્પિટલ સંચાલકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરંતુ તંત્રને પણ આવી કોઈ દુર્ઘટના સર્જાય છે ત્યારે જ સુરક્ષાની બાબતો યાદ આવે છે ત્યારે બનાસકાંઠાના ડીસામાં હાઇવે ઉપર આવેલ ડોકટર હાઉસ માં ૫૦ થી વધુ તબીબો પોતાની હોસ્પિટલ ચલાવી રહ્યા છે. જો કે અદ્યતન સારવારનો દાવો કરતા આ તમામ તબીબોની હોસ્પિટલમાં ફાયર સેફટી નામે કોઈ જ સુવિધા કે સાધન જોવા મળ્યા ન હતા. તેથી અમદાવાદ ખાતે બનેલી આગ હોનારત જેવી કોઈ મોટી દુર્ઘટના બની જાય તો દર્દીઓના જીવ રામ ભરોસે છે તેમ છતાં મોટાભાગના તબીબોએ આજ દિન સુધી ફાયર સેફટી બાબતે કોઈ જ કાર્યવાહી કરી નથી. ડીસામાં હાઇવે ઉપર કાર્યરત ૫૦ હોસ્પિટલમાંથી અત્યાર સુધી માત્ર ૧૫ જેટલા તબીબોએ ફાયર સેફટી માટે પાલિકાના ફાયર સેફટી વિભાગમાં અરજી કરી લાયસન્સ માટેની માત્ર તજવીજ હાથ ધરી છે. જ્યારે માત્ર ૮ જેટલી હોસ્પિટલમાં ફાયર સેફટી સુવિધા કાર્યરત છે ત્યારે ડીસામાં રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી હજારો દર્દીઓ પણ સારવાર અર્થે આવતા હોય છે પરંતુ આ દર્દીઓની સલામતીની જવાબદારી કોની ? તે સવાલ વચ્ચે ફાયર સેફટીના અભાવે મોટી દુર્ઘટના કે જાનહાની પણ થવાની શકયતા રહેલી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.