ભારતીય અર્થવ્યવસ્થાની ગાડી પાટા પર, પરંતુ કોરોનાના વધતા કેસો અને લોકલ લૉકડાઉન મોટા પડકારો
દેશની અર્થવ્યવસ્થા એપ્રિલ બાદ સતત રિકવર થઈ રહી છે. જે યોગ્ય માર્ગે આગળ વધી રહી છે. પરંતુ કોરોના વાયરસના વધતા કેસો અને રાજ્ય સરકાર દ્વારા લાગૂ લોકડાઉન આ રિકવરી માટે મોટુ જોખમ બન્યા છે. કેન્દ્રીય નાણા મંત્રાલય અને જાપાની ફાઈનાન્સિયલ કંપની નોમુરા દ્વારા જારી રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે.
નાણાં મંત્રાલયે મંગળવારે જાહેર કરેલા જુલાઈના અહેવાલમાં જણાવ્યુ છે કે, એપ્રિલના ઘટાડા પછી ભારતીય અર્થવ્યવસ્થા સ્થિર રિકવરી થઈ રહી છે. સરકાર અને રિઝર્વ બેંક દ્વારા લેવામાં આવેલા પગલા મદદ કરી રહ્યા છે. રાજ્યોમાં કોરોના વાયરસના વધતા જતા કેસો અને “તૂટક તૂટક” સ્થાનિક લોકડાઉનને કારણે ભારતની આર્થિક સ્થિતિની રિકવરી નબળી પડી રહી છે. જેના પર સતત દેખરેખ રાખવાની જરૂર છે.
અહેવાલમાં જણાવાયું છે કે, કોવિડ -19 ભારતના વિકાસમાં ફાળો આપનારા ટોચના 12 રાજ્યોમાં 85 ટકા હિસ્સો ધરાવે છે. તેમાં ટોચનાં બે રાજ્યો એટલે કે મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં 40% કેસો છે. રિપોર્ટ અનુસાર, અર્થતંત્ર માટે સૌથી ખરાબ તબક્કો પસાર થઈ ગયો હોય તેમ લાગે છે, કારણ કે એપ્રિલ અને મેની તુલનામાં જૂન-જુલાઇમાં જીએસટી કલેક્શન, વીજ વપરાશ, રેલ નૂર અને મુસાફરોના ડેટા, પેટ્રોલ અને ડીઝલ વપરાશ અને ટોલ કલેક્શનમાં સુધારો નોંધાયો છે.
જ્યારે બીજી બાજુ, નોમુરાએ તેના રિસર્ચમાં જણાવ્યું હતું કે, જુલાઇના પ્રારંભિક આર્થિક ડેટા જેમ કે ઓટો વેચાણ અને વીજ વપરાશમાં મજબૂત રિકવરી જારી છે. જે ગતિશીલતા તરફ ધ્યાન દોરે છે. જુલાઈમાં મેન્યુફેકચરિંગ પીએમઆઈ ઘટવા છતાં અન્ય એશિયન દેશોમાં તેમાં સુધારો થયો છે.
આવી સ્થિતિમાં પીએમઆઈ ભારતમાં પણ સુધરશે. નોમુરાએ ઝડપથી વિકસી રહેલા કોરોના કેસોને મુખ્ય પડકાર ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે 8 જૂનથી દેશવ્યાપી લોકડાઉન દૂર કર્યા હતા. શાળા, સિનેમા હોલ અને મંદિર જેવા ફક્ત થોડા સ્થળો પર જ પ્રતિબંધ છે. જો કે, રાજ્યોને તેમના સ્તર પર પ્રતિબંધ લાદવાની મંજૂરી આપવામાં આવી છે.