UPSCની પરીક્ષામાં સુરતનો કાર્તિક જીવાણી ગુજરાતમાં પ્રથમ
નિષ્ફળતાની પાછળ જ સફળતા છૂપાયેલી હોય છે પરંતુ મક્કમ મનના અડગ માનવીને હિમાલય પણ નડતો નથી. આ સૂત્રને સાર્થક કરતાં સુરતના કાર્તિક જીવાણીએ UPSC(યૂનિયન પબ્લિક સર્વિસ કમિશન)ના જાહેર થયેલા પરિણામમાં ગુજરાતમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. IPS(ઈન્ડિયન પોલીસ સર્વિસ) કેડરની ટ્રેનિંગ મેળવવાની સાથે સાથે પરીક્ષાની તૈયાર કરીને દેશમાં 84 ક્રમ હાંસલ કર્યો છે. જેથી કાર્તિકને હવે IAS(ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) કેડરમાં જોડાવાની ઈચ્છા છે.
કાર્તિક જીવાણીએ 2017માં પરીક્ષા આપી હતી.મનમાં ઉચાટ અને ઉતેજના સાથે 2017ના વર્ષમાં સખત મહેનત બાદ તેઓ નિષ્ફળ રહ્યા હતાં. પરંતુ ફરી 2 વર્ષની સખત મહેનતના અંતે વર્ષ 2019માં ગુજરાતમાં પ્રથમ અને દેશમાં 94મો ક્રમ મેળવ્યો હતો. જેથી IASની જગ્યાએ IPS કેડરમાં એડમિશન મળ્યું હતું. જેથી તેઓ IPSની હૈદરાબાદમાં ટ્રેનિંગ લેતા લેતા ફરી IAS બનવાના સ્વપ્નને ભુલ્યા વગર ફરી પરીક્ષા આપી અને તેમાં સફળતા મળી.
વરાછામાં લેબોરેટરી ચલાવતા ડો. નાગજીભાઈ જીવાણીના પુત્ર કાર્તિક જીવાણીએ કહ્યું કે, મારો જન્મ 1994માં થયો ત્યારે સુરતમાં પ્લેગ આવ્યો હતો. એ વખતે સુરતમાં પ્રસુતી કરાવનાર ડોક્ટર હાજર નહોતા. એ વખતના સુરતની વાતો સાંભળેલી જેમાં એસ.આર. રાવ નામના પાલિકા કમિશનરે સુરતની ભૌગોલિક સ્થિતિ બદલી નાખી હતી. શહેરની સિકલ બદલાઈ જતાં સુરત ફરી સોનાની મૂરત બનવા જઈ રહ્યું હતું. રાવ સાહેબની કામગીરીની વાતો સાંભળીને મને પણ IAS બનવાની ઈચ્છા હતાં. ગત વર્ષે માત્ર બે રેન્ક નીચો આવતાં IPSમાં જવું પડ્યું. પરંતુ હવે જો IASમાં ચાન્સ મળશે તો તે કેડર જોઈન કરીશ તેમ કાર્તિકે જણાવ્યું હતું.
જાહેર થયેલા UPSCના પરિણામોમાં સુરતનો કાર્તિક નાગજીભાઈ જીવાણીએ ભારતમાં 84મો ક્રમ અને ગુજરાતમાં પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યો છે. તેની ઈચ્છા મુજબ જો તેને IAS કેડર મળશે તો તે સુરતનો પ્રથમ IAS અધિકારી બનશે. કાર્તિક સુરતની જ પીપી સવાણી અને રાયન ઈન્ટરનેશનલ સ્કૂલમાં 12 સુધી અભ્યાસ કર્યા બાદ મુંબઈની IITમાંથી મિકેનિકલમાં બીટેક થયો છે.કાર્તિકે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મેળવ્યું છે.