બનાસકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે કોરોનાનો કહેર : વધુ ૧૪ કેસ નોંધાયા
રાજ્યભરમાં કોરોનાના વધતા જતા પ્રકોપ વચ્ચે સરહદી બનાસકાંઠા જિલ્લામા સતત બીજા દિવસે કોરોના નો કહેર જારી રહ્યો છે. જેમાં આજે વધુ ૧૪ કેસ નોંધાયા હતા. જેમાં વેપારી મથક ડીસામાં ૦૩, ધાનેરામાં ૦૩, થરાદમાં ૦૫, પાલનપુરમાં ૦૧ અને વાવમાં ૦૨ કેસ નોંધાતા છેલ્લા ૧૦ દિવસમાં જિલ્લામાં ૪૪ એક્ટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. કોરોનાની ત્રણ-ત્રણ લહેરનો સામનો કરી ચૂકેલા બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર કોરોનાનો કહેર ચિંતાજનક હદે વધી રહ્યો છે. આજે સતત બીજા દિવસે વધુ ૧૪ કોરોના પોઝેટિવના કેસ નોંધાતા જિલ્લામાં એક્ટિવ કેસનો આંકડો ૪૪ એ પહોંચ્યો છે. જિલ્લામાં આજે આરોગ્ય વિભાગ દ્રારા ૪૨૧ આરટીપીસીઆર અને ૯૭૭ એન્ટીજન મળી ૧૩૯૮ કોરોનાના ટેસ્ટ કરાયા હતા. જેમાં ૦૪ દર્દી કોરોના સામેનો જંગ જીતી જતા તેઓને રજા અપાઈ છે. જ્યારે બાકીના તમામ દર્દીઓ હોમ આઇસોલેશનમાં હોવાની સાથે જિલ્લામાં કુલ ૪૪ કોરોનાના એક્ટિવ કેસો નોંધાયા હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.