અનલોક-૩માં થિયેટર ખુલવાની શક્યતા, મેટ્રો-સ્કૂલ બંધ જ રખાશે
નવી દિલ્હી
અનલાૅક-૩ માટે એસઓપી બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. ૩૧ જુલાઈએ અનલાૅક-૨ પૂર્ણ થઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અનલાૅક-૩માં સોશ્યલ ડિસ્ટન્સિંગની સાથે સિનેમા હાૅલ ખોલવામાં આવી શકે છે. માહિતી પ્રસારણ મંત્રાલયે આ સંબંધમાં ગૃહ મંત્રાલયને એક પ્રસ્તાવ મોકલ્યો છે. જેમાં એક ઓગસ્ટથી થિયેટર ખોલવાની વાત કહેવામાં આવી છે. અગાઉ માહિતી પ્રસારણ મંત્રાલય અને થિયેટર માલિકોની વચ્ચે કેટલીય બેઠકો થઈ હતી. જે બાદ સિનેમા હાૅલ માલિક, ૫૦ ટકા દર્શકોની સાથે થિયેટર શરૂ કરવા તૈયાર થઈ ગયા છે. જોકે મંત્રાલય ઈચ્છે છે કે શરૂઆતમાં ૨૫ ટકા બેઠકો સાથે થિયેટર ખોલવામાં આવે અને નિયમોના કડકાઈથી પાલન થાય. એટલું જ નહીં અનલાૅક-૩માં થિયેટર હોલની સાથે જિમ પણ ખોલવામાં આવી શકે છે. સૂત્રોના અનુસાર અત્યારે સ્કૂલ અને મેટ્રો ખોલવા પર વિચાર કરાયો નથી. ત્યાં રાજ્યો માટે પણ અનલાૅક ૩માં કેટલીક છૂટછાટ આપવામાં આવી શકે છે. કોરોના વધતા સંક્રમણને રોકવા માટે માર્ચ મહિનામાં સમગ્ર દેશમાં લાૅકડાઉન લાગુ કરાયું હતું. જે જૂન મહિના સુધી ચાલ્યું. ૩૦ જૂને અનલાૅક ૧ હેઠળ કોરોના સંકટના કારણે લાગુ કરાયેલા લાૅકડાઉનમાં છુટછાટ આપવામાં આવી હતી.