અયોધ્યામાં કુલ 67 એકર ભૂમિમાંથી 2 એકરમાં રામલલાનું મંદિર બનશે
અયોધ્યામાં 5 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીરામ મંદિર નિર્માણનું ભૂમિ પૂજન કરશે. 1989માં પ્રસ્તાવિત મંદિરના મોડલમાં ફેરફાર કરીને તેને વધુ ભવ્ય બનાવવામાં આવ્યું છે. પહેલા મંદિરના મુખ્ય શિખરની ઉંચાઈ 128 ફુટ હતી. હવે તે 161 ફુટ થશે. ત્રણ જગ્યાએ પાંચ ગુંબજ અને એક મુખ્ય શિખર હશે. અયોધ્યામાં શિલાન્યાસની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતે શનિવારે અયોધ્યાની મુલાકાત કરીને તૈયારીઓની સમીક્ષા કરી હતી.
રામમંદિરનો નકશો તૈયાર કરનારા ચીફ આર્કિટેક્ટ સોમપુરાના પુત્ર નિખિલ સોમપુરાએ ભાસ્કર સાથે વિશેષ વાતચીત કરી. તેમણે કહ્યું કે કુલ ભૂમિ 67 એકર છે. જોકે મંદિર 2 એકરમાં જ બનશે. બાકીની 65 એકર જમીન પર રામ મંદિરનું પરિસર ડેવલોપ કરવામાં આવશે.
નિખિલે જણાવ્યું કે સાડા ત્રણ વર્ષમાં માત્ર મંદિર બનીને તૈયાર થશે. તે ટ્રસ્ટની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે. તેના પરિસરનું કામ ચાલુ રહેશે. અમને માત્ર મંદિર બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે. પરિસરનું કામ કોણ કરશે ? તે ટ્રસ્ટ નક્કી કરશે, જોકે ટ્રસ્ટે લીસ્ટ બનાવી લીધું છે કે પરિસરમાં શું સુવિધાઓ હશે. હવે જેમને બનાવવાનું કામ આપવામાં આવશે તે બનાવશે. રામ મંદિરનો નકશો તૈયાર છે. બાકીના પરિસરનો નકશો બની રહ્યો છે.