દશામાની મૂર્તિનું વિસર્જન નહીં કરવાનું ફરમાન જાહેર કરતા હિંદુ સંગઠનનો વિરોધ
મ્યુનિસિપલ કમિશનર દ્વારા અચાનક જ દશામાની મૂર્તિનું વિસર્જન નહીં કરવાનું ફરમાન જાહેર કરતા હિંદુ સંગઠનોએ વિરોધ કર્યો હતો. હિંદુ સંગઠનના ભગવાન ભરવાડે જણાવ્યું હતું કે, હાલ દશામાનો તહેવાર ચાલી રહ્યો છે. જેમાં મોટાભાગના લોકો દશામાની મૂર્તિ પોતાના ઘરે સ્થાપના કરે છે અને દસ દિવસ તેની પૂજા આરાધના અર્ચના કરી ભક્તિભાવ કરાયા બાદ ધામધૂમથી દસમા દિવસે વિસર્જન વડોદરા શહેર તેમજ જિલ્લામાં અને ગુજરાતના દરેક શહેરમાં કરાય છે. પરંતુ કોરોના મહામારી બીમારીના કારણે આ વખતે દશામાની મૂર્તિ વિસર્જન ખુદ જનતા દ્વારા જ નક્કી કરી ધામધૂમથી પબ્લિક ભેગી કર્યા વગર વિસર્જન કરવાની વિચારણા લોકોએ પોતાના મનમાં પહેલાથી જ કરી હતી.
મ્યુનિસિપલ કમિશનર દ્વારા દશામાનું વિસર્જન તમામ નદી, નાળા, તળાવમાં નહીં કરવા પ્રતિબંધ લગાવી દેતા આજે હિન્દુ સમાજ ભેગા મળી વિરોધ કર્યો હતો. જો તાત્કાલિક ધોરણે આ ફરમાનને પરત નહીં લેવામાં આવે તો આવતીકાલે મ્યુ. કમિશનર ઓફિસના ગેટ પર ધસી જઈ આત્મવિલોપનની ચિમકી પણ હિન્દુ સંગઠન દ્વારા કરવામાં આવી છે.