![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/07/safe_image.jpg)
ઉત્તર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત : ૬૩ કેસ
રખેવાળ ન્યુઝ મહેસાણા : મહેસાણામાં ફરી એકવાર કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એકસાથે નવા ૨૪ દર્દીઓ ઉમેરાતાં નવા સંક્રમણ કેન્દ્રો સામે આવ્યા છે. આ તરફ જીલ્લામાં રાહતના સમાચાર કહી શકાય તેમ આજે ૧૯ દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આરોગ્ય તંત્ર દ્રારા આજે નોંધાયેલા દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં ખસેડી તેમના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરાઇ છે.
મહેસાણા જીલ્લામાં કોરોના સંક્રમણ હવે કાબૂ બહાર જઇ રહ્યુ છે. આજે જીલ્લામાં સૌથી વધુ ૨૦ પુરૂષ અને ૪ સ્ત્રી સાથે કોરોનાના નવા ૨૪ દર્દીઓનો ઉમેરો થયો છે. આ તરફ નવા દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોમાં ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે. આજે મહેસાણા શહેરમાં ૮, મહેસાણાના સાલડી અને પાંચોટમાં ૧-૧, કડી શહેરમાં ૧, વડનગર શહેરમાં ૧, વિસનગર શહેરમાં ૨, વિસનગર તાલુકાના રાઠોડીપુરામાં ૧, દેણપમાં ૧, ગોઠવામાં ૨, ખરવડામાં ૧, ઊંઝા તાલુકાના ઉનાવા અને દાસજમાં ૧-૧, જોટાણા તાલુકાના ખદલપુર અને મુદરડામાં ૧-૧, વિજાપુર તાલુકાના હિરપુરામાં ૧ મળી નવા ૨૪ કેસ સામે આવ્યા છે.
આરોગ્ય વિભાગે કોવિડ ગાઇડલાઇન મુજબ તમામ દર્દીઓના એકદમ નજીક અને દૂરથી સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરી છે. આ તરફ જીલ્લામાં આજે એકસાથે ૧૯ દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. મહેસાણા જીલ્લામાં અત્યાર સુધી કોવિડ-૧૯ અંતર્ગત કુલ ૮૯૧૨ સેમ્પલ લેવામાં આવ્યા બાદ ૮૦૧૯ સેમ્પલ નેગેટીવ આવ્યા છે. જેમાં આજે આવેલા ૨૨૮ સેમ્પલના રીઝલ્ટમાં ૨૧૫ સેમ્પલનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. આજે સરકારી લેબમાં ૧૩ અને ખાનગી લેબમાં કોરોનાના ૧૧ કેસ સામે આવ્યા છે. જીલ્લામાં હાલ કોરોનાના ૨૫૫ કેસ એક્ટિવ છે.
પાટણ જિલ્લામાં કોરોના હવે કાબૂ બહાર જઇ રહ્યો હોય તેમ દરરોજ બે આંકડામાં કેસો સામે આવી રહ્યા છે. જેમાં સાંજના સમયે જીલ્લામાં એકસાથે ૩પ કેસ જાહેર થતાં ખળભળાટ મચી ગયો છે. આજે ૩પ નવા દર્દીઓ દાખલ થતાં તેઓના પાડોશી ફફડાટ વચ્ચે ચોંકી ગયા છે. ગઇકાલથી બપોર બાદ કડક લોકડાઉનની શરૂઆત થયાની વચ્ચે મોટી સંખ્યામાં નવા દર્દી ઉમેરાયાં છે. કોરોના વાયરસનું સંક્રમણ નવા ગામ અને શહેરોની નવી સોસાયટી સુધી પહોંચી રહ્યું છે. પાટણ જિલ્લામાં આજે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એકસાથે નવા ૨૩ દર્દીઓનો ઉમેરો થતાં કુલ આંક ૫૩૦ પહોંચ્યો છે. સંક્રમણને રોકવા ફરી લોકડાઉન કરવાના મંથન વચ્ચે પાટણ શહેરમાં ગઇકાલથી બપોર બાદ સજ્જડ બંધ શરૂ થયું છે. આજે સાંજના સમયે એકસાથે ૨૩ દર્દીઓ નોંધાતા અનલોક દરમ્યાન સંક્રમણનો રાફડો ફાટી ગયો હોય તેમ વધારે સંખ્યામાં દર્દીઓ આવી રહ્યા છે. જીલ્લામાં નવા ૨૩ દર્દીઓ ઉમેરાતાં કુલ આંક ૫૩૦ પહોંચ્યો છે. સાંજના સમયે નોંધાયેલા કેસોમાં ચાણસ્મા તાલુકામાં ૪ અને શહેરમાં ૧, સાંતલપુર તાલુકામાં ૪, સિધ્ધપુર શહેરમાં ૨ અને ગ્રામ્યમાં ૧, રાધનપુર શહેરમાં ૬, પાટણ શહેરમાં ૩ અને ગ્રામ્યમાં ૧ અને સમી શહેરમાં ૧ મળી નવા કેસ સામે આવ્યા છે. જીલ્લામાં અનલોકમાં મળેલી છૂટને કારણે દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં ગુરૂવારે આવેલા રીપોર્ટ મુજબ નવા ચાર કોરોનાના કેસ સામે આવ્યા. જેમાં ઇડર શહેરમાં ૫૪ વર્ષીય પુરુષ, હિંમતનગર તાલુકાના ઇલોલમા ૭૦ વર્ષીય મહિલા , બિલ્પણ કંપામાં ૫૪ વર્ષીય પુરુષ તેમજ હિંમતનગર શહેરના પોલો ગ્રાઉન્ડમા ૭૫ વર્ષીય વૃધ્ધનો ર્ષ્ઠદૃૈઙ્ઘ ૧૯ રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર અર્થે હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા. આમ જિલ્લામાં કોરોનાના ૩૩૨ કેસ નોંધાયા જેમાં અત્યાર સુધીમાં જિલ્લામાં ૨૩૮ દર્દી કોરોના મુક્ત થયા છે.જ્યારે ૭ દર્દીઓના દુઃખદ અવસાન થયા છે. ૮૭ દર્દી સારવાર હેઠળ છે.