મગરવાડા ગામે આંગણવાડીના બાળકો ભાડાના જર્જરિત ઓરડામાં જીવના જોખમે ભણવા મજબુર
વડગામ તાલુકાના મગરવાડા ગામે આવેલ આંગણવાડીના નવીન ઓરડાઓનું ખાતમુહૂર્ત થયે પાંચ મહિનાનો સમય વિતવા છતાં કામકાજ શરૂ ન કરાતાં આંગણવાડીના ભૂલકાઓ ભાડાના જર્જરિત મકાનમાં ભણવા મજબુર બનતા વાલીઓમાં ભારે રોષ સાથે સરકારી બાબુઓ વિરુદ્ધ અનેક સવાલ કરી રહ્યા છે. પવિત્રયાત્રા ધામ મગરવાડા ગામે આવેલ આંગણવાડી કેન્દ્રના જર્જરિત મકાનના કારણે લોકોએ રજુઆત કરતા આંગણવાડીના બાળકોને ભાડાના મકાનમાં ખસેડવામાં આવ્યા હતા.અને જૂનું મકાન તોડી નવું બનાવવા કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે ભાડાનું મકાન પણ જર્જરિત હોવાના કારણે છતના પોપડા ગમે ત્યારે તૂટી પડે તેવી દહેશત વચ્ચે જર્જરિત મકાનમાં આંગણવાડીના બાળકો ભણી રહ્યા છે. ત્યારે સ્થાનિકો ની ઉગ્ર રજૂઆતો બાદ આંગણવાડીનું નવીન મકાનનું ખાતમુહૂર્ત પાંચ માસ અગાઉ કરવામાં આવ્યું હતું. જોકે ખાતમુહૂર્ત બાદ આજ સુધી કોઈ પણ પ્રકારનું કામ કામકાજમાં પ્રગતિ ન કરાતાં કામકાજ ઠપ્પ જોવા મળી રહ્યું છે. જેથી ગ્રામજનો તંત્ર ઉપર અનેક સવાલો કરી રહ્યા છે.અને તાત્કાલિક બાંધકામ કરવા માંગ કરી રહ્યા છે.