![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/07/Coronavirus.jpg)
ર૪ કલાકમાં કોરોનાના કેેસ એક હજારને પાર
ગાંધીનગર : રાજ્યમાં આજે પ્રથમવાર કોરોના પોઝિટિવનો આંકડો હજારને પાર થયો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૬૯૩ કોરોનાનો ટેસ્ટ કરવામાં આવતા ૧૦૨૬ દર્દીઓ પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ સંક્રમિતનો આંકડો ૫૦ હજારને પાર થઈ ૫૦૪૬૫ થયો છે. રાજ્યમાં આજે એક દિવસમાં કોરોનાને લીધે ૩૪ દર્દીઓના સૌથી વધુ મોત થવાનો વિક્રમ નોંધાતા હાહાકાર મચી ગયો છે. આ સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૨૨૦૧ થયો છે. રાજ્યમાં આજે ૭૪૪ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. આ સાથે ડિસ્ચાર્જ થવાનો કુલ આંકડો ૩૬ હજારને પાર થઈ ૩૬૪૦૩ થયો છે. રાજ્યમાં આજની સ્થિતિએ ૧૧૮૬૧ કોરોનાના એક્ટિવ કેસ છે જેમાં ૮૨ દર્દીઓ વેન્ટીલેટર પર અને ૧૧૭૭૯ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કહેરરૂપે કોરોના ત્રાટક્યો છે. રાજ્યમાં સતત દૈનિક કોરોના પોઝિટિવનો આંકડા વધતા જાય છે. સતત આઠ દિવસ કોરોનાના કેસ ૯૦૦ને પાર રહ્યા બાદ આજે એક હજારને પાર થયો છ.ે રાજ્યમાં આજે આઠ કોર્પોરેશન અને ૩૧ જિલ્લામાં કોરોના પગપસારો કર્યો છે. રાજ્યમાં કોરોના ગામડા સુધી પ્રસરી ગયો છે. આજે દાહોદમાં ૩૯ કેસ એક સામટા નોંધાતા આરોગ્ય વિભાગ સફાળુ જાગ્યુ છે. આરોગ્ય વિભાગે આપેલ યાદી મુજબ રાજ્યમાં આજે કોવિડ-૧૯ના લીધે ૩૪ મોત થયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં ૧૪ અને જિલ્લામાં ૭, અમદાવાદ કોર્પોરેશનમાં ૫ અને જિલ્લામાં ૧, વડોદરા કોર્પોરેશનમાં ૨, ભાવનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર કોર્પોરેશન, કચ્છ અને પાટણમાં ૧-૧ મોત કોરોનાને લીધે નોંધાયા છે. અમદાવાદ શહેરમાં ૧૮૭ અને જિલ્લામાં ૧૨ સાથે ૧૯૯ કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કુલ કોરોના સંક્રમિતનો આંકડો ૨૪૫૬૮ થયો છે. અમદાવાદમાં વધુ છ મોત નોંધાતા કુલ મૃત્યુઆંક ૧૫૫૩ થયો છે. સુરત શહેરમાં ૨૨૫ અને ગ્રામ્યમાં ૭૩ સાથે ૨૯૮ કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે સુરત શહેરમાં કોરોનાના કુલ સંક્રમિતનો આંકડો દસ હજારને પાર થઈ ૧૦૦૦૮ થયો છે. આજે વધુ ૨૧ મોત નોંધાતા શહેરમાં મૃત્યુઆંક વધીને કુલ ૨૮૦ થયો છે. વડોદરા શહેરમાં આજે ૬૦ અને ગ્રામ્યમાં ૧૫ સાથે કુલ ૭૫ પોઝિટિવ કેસ નોંધાયા છે.