![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/07/Coronavirus.jpg)
રાજ્યના ૧૪ જિલ્લામાં કોરોના કેસ રાફડો ફાટ્યો, રાજકોટ-ભાવનગરમાં ૧૫ દિવસમાં જ ૪૦૦થી વધુ કેસ.
રાજ્યમાં જ્યારથી અનલોક અમલી બનાવાયું છે ત્યારથી કોરોના સંક્રમિતોનો જાણે રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ છે. અનલોક-૧ કરતા પણ અનલોક-૨માં અનેક જિલ્લાઓમાં વિસ્ફોટક રીતે કોરોના કેસ વધ્યા છે, તો કેટલાક જિલ્લાઓ કોરોનાના ચેપના વધતા વ્યાપને કાબૂમાં લેવામાં મહદઅંશે સફળ થયા છે. રાજ્યના રાજકોટ, તાપી, મોરબી સહિતના ૧૪ જિલ્લામાં વિસ્ફોટક રીતે કોરોનાના કેસ વધ્યા છે. તો સુરત, વડોદરા, મહેસાણા સહિતના જિલ્લામાં કોરાના બેકાબૂ બની રહ્યો છે. જ્યારે અમદાવાદ, ડાંગ, પોરબંદર સહિતના ૯ જિલ્લાએ કોરોના પર મહદઅંશે કાબૂ મેળવ્યો છે.
જુલાઈના ૧૫ દિવસમાં ગુજરાતના ૧૪ જિલ્લામાં કોરોનાની સ્થિતિ વિસ્ફોટક રહી છે. તાપી, મોરબી, દાહોદ જેવા જિલ્લા કે જ્યાં જૂન મહિના સુધી કોરોનાની સ્થિતિ કાબૂમાં જણાઈ રહી હતી, ત્યાં જુલાઈ મહિનાના પ્રથમ ૧૫ દિવસમાં જ જાણે કે કોરોનાએ રોકેટ ગતિ પકડી હોય તેમ કેસનો રાફડો ફાટ્યો છે. તો રાજકોટ અને ભાવનગરમાં માત્ર ૧૫ દિવસમાં જ ૪૦૦થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે વલસાડ, નવસારી, ખેડા, ભરૂચ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, બનાસકાંઠામાં બે ગણા કેસ વધ્યા છે. ગીર સોમનાથ અને અમરેલીમાં પણ કેસોમાં વધારો થયો છે.