![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/07/191135d9-fe9f-4850-8779-9b697fa3df9f.jpg)
સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમાનો ઈન્ટિગ્રેટેડ હાઈલેવલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાંથી બાદ કરતાં શ્રદ્ધાળુઓમાં રોષ
વાવ તાલુકાનાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા ધામએ વર્ષોથી વિકાસથી વંચિત રહ્યું છે.તો વળી રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૭માં રૂ.૫ કરોડનાં ખર્ચે વિવિધ વિકાસ કામો ચાલુ કરવામાં આવ્યાં હતાં તો વળી રૂ.૨.૫ કરોડનાં ખર્ચે બનનાર ગાર્ડન માટે જવાબદાર તંત્રની લાપરવાહીને કારણે જમીન નહિ મળતાં વિકાસ કામો બંધ થતાં માત્ર રૂ ૭૫ લાખની જ ગ્રાંટ વપરાઈ હતી.અને રૂ ૪ કરોડથી પણ વધારે ગ્રાંટ રાજ્ય સરકારમાં પરત જમા થઈ હતી.ત્યારે અધૂરા પડેલ વિકાસ કામો ચાલુ થાય અને અહીં આવતાં હજારો શ્રદ્ધાળુઓને પ્રાથમિક સુવિધાઓ મળી રહે.રાજ્ય સરકારની વિકાસની વાતો વચ્ચે પણ અહીંયા કોઈપણ પ્રકારની પ્રાથમિક સુવિધા મળતી નથી.ત્યારે શ્રદ્ધાળુઓમાં પણ ભારે રોષની લાગણીઓ ફેલાઈ છે.તો વળી પવિત્ર યાત્રાધામ ઢીમા ધામનાં વિકાસ માટે જિલ્લા વહીવટી તંત્ર અને ગ્રામપંચાયત દ્વારા સંકલન કરવામાં આવે શ્રદ્ધાળુઓને પડતી મુશ્કેલીઓ તંત્ર સમક્ષ રજૂ કરવામાં આવે તે જરૂરી છે.
પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની કામગીરી સમીક્ષા માટે યોજાયેલી બેઠકમાં રાજ્યનાં મુખ્ય આઠ યાત્રાધામનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં અંબાજી, સોમનાથ, ડાકોર, શામળાજી, પાવાગઢ, પાલીતાણા
અને ગિરનારનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે બનાસકાંઠા જિલ્લાનાં નામાંકિત યાત્રાધામ ઢીમાની બાદબાકી કરવામાં આવતાં શ્રદ્ધાળુઓમાં ભારે રોષ ભભૂકયો હતો.તો વળી આ યાત્રાધામોમાં આવશ્યક સુવિધાઓ જેવી કે સફાઈ કામ,સીસીટીવી નેટવર્ક, રેમ્પ, ઈ-રિક્ષા અને વરિષ્ઠ યાત્રાળુઓ માટે વ્હીલચેર સહિતની સગવડોની સમીક્ષા કરવામાં આવી હતી.રાજ્યનાં જે યાત્રાધામમાં એક હજારની રોજિંદી શ્રદ્ધાળુઓની અવરજવર રહેતી હોય છે.તેવાં યાત્રાધામોમાં આઈકોનિક પ્લેસ તરીકે લાંબા ગાળાનાં વિકાસનું આયોજન બોર્ડ કરવું જોઈએ.
અત્રે નોંધનીય છે કે ગુજરાતનાં અતિમહત્વનાં ધાર્મિક સ્થળોમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમાનો સમાવેશ થાય છે તો વળી દર પૂનમે ભવ્ય લોકમેળો પણ ભરાય છે.વર્ષે દહાડે લાખો શ્રદ્ધાળુઓની અહીંયા અવરજવર રહે છે. ત્યારે ગુજરાત સરકારની વિકાસની વાતોનાં દાવાઓ પોકળ સાબિત થયા છે. પવિત્ર યાત્રાધામમાં આવતાં શ્રદ્ધાળુઓની માંગ ઉઠી છે કે પ્રાથમિક સુવિધાઓ જેવી કે જાહેર શૌચાલય,રોડરસ્તાઓ,સ્ટ્રીટલાઈટ, વાહનો માટે પાર્કિંગ,ઐતિહાસિક માંદેળા તળાવમાં નર્મદાનાં નીર ભરી બોટિંગ વ્યવસ્થા કરવામાં આવે તો સ્થાનિક લોકોને રોજગારી મળે,જેવી અનેક બાબતો જિલ્લા કલેક્ટર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમીક્ષા કરી રિપોર્ટ રાજ્ય સરકારમાં મોકલી આપવો જોઈએ જેથી યાત્રાધામ તરીકે ઢીમા ધામનો સર્વાંગી વિકાસ થઈ શકે તેવું જણાવ્યું હતું.
Tags Banaskantha corona Deesa Gujarat