![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/07/કોંગ્રેસના-નેતા.jpg)
કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની તબિયતમાં સુધારો, ૬૦ ટકા ઓક્સિજન બહારથી અપાય છે
ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીને હાલ અમદાવાદમાં આવેલી સિમ્સ હોસ્પિટલમાં આઇસીયુમાં ખસેડવામાં આવ્યા છે. તબિયત લથડતા ઓક્સિજનની જરૂરિયાતમાં વધારો થતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. હાલમાં તેમને ૯૫ના બદલે હવે ૬૦ ટકા ઓક્સિજન જ બહારથી આપવામાં આવી રહ્યો છે. આ અંગે રાજ્યના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, ભરતસિંહ સોલંકીની તબિયતમાં સુધારો આવ્યો છે. બહારથી આપવામાં આવતા ઓક્સિજનનું પ્રમાણ ઘટાડવામાં આવ્યું છે. લોકોની દુઆ અને તબીબોની સારવારથી જલ્દી રિકવરી થશે.
૨૨ જૂનના રોજ ભરતસિંહ સોલંકીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની તબિયત બગડતા તેમને ૩૦મી જૂનના રોજ અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નોંધનીય છેકે ૧૯ જૂને યોજાયેલી ચૂંટણીના દિવસે તેઓ અંદાજે ૨૦૦ લોકો અને તે પૂર્વે થોડા દિવસ દરમિયાન ભરતસિંહ અન્ય કેટલાંક લોકોના સીધા સંપર્કમાં આવ્યા હતા.