ચિત્રાસણી પાસે ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માત : આઇશર ચાલકનું મોત
રખેવાળ ન્યુઝ પાલનપુર : પાલનપુર તાલુકાના ચિત્રાસણી પાસે વહેલી સવારે ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં આઈશર ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માતને પગલે આઈશર ચાલક ગાડીમાં ફસાઈ જતા તેના મૃતદેહને બે કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી બનાવ સંદર્ભે તપાસ હાથ ધરી હતી.
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસની મહામારી વચ્ચે અનલોક જાહેર થયા બાદ રસ્તાઓ પર વાહનો દોડવા લાગ્યા છે. ત્યારે હવે અકસ્માતો ના બનાવોમાં પણ વધારો થઈ રહ્યો છે. પાલનપુર તાલુકાના ચિત્રાસણી નજીક આજે વહેલી સવારે સર્જાયેલા આ અકસ્માતની વિગત એવી છે કે, વહેલી સવારે ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં આગળ જઇ રહેલ ટ્રેલરની પાછળ આઇશર ધડાકાભેર ટક્કર મારી ઘૂસી ગયું હતું. જે બનાવમાં આઇશર ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે જાણ થતાં એલ.એન્ડ. ટી કંપનીના કંટ્રોલ ઇન્ચાર્જ યોગેશ મજેઠીયા પેટ્રોલિંગ એમ્બ્યુલન્સ ક્રેન તેમજ પાલનપુર તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને બે કલાકની ભારે જહેમત બાદ આઇશર ચાલકનો ફસાયેલો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારે બનાવ સંદર્ભે પાલનપુર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.