![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/12/08-4.jpg)
કોંગ્રેસે નર્મદા ડેમનું કામ રોકી પ્રજાને ભારે અન્યાય કર્યો : સ્મૃતિ ઈરાની
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ભાજપના ઉમેદવાર પ્રવીણ માળીના પ્રચાર અર્થે આવેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ગાંધી પરિવારને નિશાને લઈ રાહુલ અને પ્રિયંકા ગાંધીને બાબો અને બેબી તરીકે સંબોધન કરી કોંગ્રેસને દેશદ્રોહી અને અધર્મિ પાર્ટી ગણાવી તેનો નામશેષ કરી ભાજપને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી. સ્મૃતિ ઈરાનીના ભાષણ દરમિયાન બાજુમાં મસ્જિદમાંથી નમાજની અજાન ચાલુ થઈ જતા તેઓએ ભાષણ એક મિનિટ માટે રોકી દીધું હતું. જાેકે લોકોએ જય શ્રી રામ અને હર હર મહાદેવના નારા લગાવતા તેઓએ ફરીથી પોતાનું ભાષણ શરૂ કર્યું હતું. કેન્દ્રીય મંત્રીએ સ્મૃતિ ઈરાનીએ ડીસાના રિસાલા ચોકમાં જાહેર સભા સંબોધી હતી.જેમાં તેમણે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને સીધા નિશાના ઉપર લઈ જણાવ્યું હતું કે જેમને બોલતા આવડતું નથી તેવા કોંગ્રેસના સર્વેસર્વાઓને ગુજરાતના જ કોંગ્રેસના નેતાઓએ ગુજરાતમાં આવવાની ના પાડી દીધી છે અને પ્રચારથી દૂર રાખ્યા છે. તેમણે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને બાબો અને બેબી કહીને સંબોધન કરતા લોકોએ તાળીઓનો ગડગડાટ કર્યો હતો. સ્મૃતિ ઇરાનીએ કોંગ્રેસને દેશદ્રોહીઓની સાથે રહેનારી પાર્ટી ગણાવી હતી. કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે નર્મદા ડેમનું કામ રોકી ગુજરાતની પ્રજાને ખૂબ જ મોટો અન્યાય કર્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. સ્મૃતિ ઈરાનીએ પોતાના ભાષણમાં અરવિંદ કેજરીવાલને પણ આડે હાથ લઈ આમ આદમી પાર્ટીએ નરેન્દ્ર મોદીના માતૃશ્રી વિશે કરેલી અપમાનજનક ટિપ્પણીની લોકોને યાદ અપાવી તેમને પણ જાકારો આપવા જણાવ્યું હતું. બે પ્રાણીઓ છે જેમને ગુજરાતી આવડતું નથી તેમ કહી સોનિયા ગાંધી અને અરવિંદ કેજરીવાલને પ્રાણીઓ સાથે સરખાવ્યા હતા. આ ઉપરાંત તેઓએ યુદ્ધમાં ત્રણ નિયમ પાળે એ યુદ્ધ જીતે તેમ જણાવી જે જે મહિલાઓનું સન્માન કરે અને ધર્મનો સાથ આપે તે જ યુદ્ધમાં જીતે તેમ જણાવી ભાજપની ગુજરાતમાં જીત નિશ્ચિત હોવાનું જણાવી ડીસામાં પણ પ્રવીણ માળીને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી.