![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/11/011-35.png)
CM કેજરીવાલના BJP પર પ્રહાર MCDમાં કામ કર્યુ હોત તો મંત્રીઓની ફોજ ન ઉતારવી પડત
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારના રોજ ભારતીય જનતા પાર્ટી પર નિશાનો તાકતા કહ્યું હતું કે, જો પાર્ટીએ પોતાના શાસન દરમિયાન મહાનગરપાલિકામાં કામ કર્યું હોત તો તેને પ્રચાર માટે પોતાના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓની જરૂર ન પડી હોત. તેમણે 4 ડિસેમ્બરના રોજ યાજોનારી મ્યુનિસિપલ ચૂંટણી પહેલા ચિરાગ દિલ્હી વિસ્તારમાં આમ આદમી પાર્ટી (AAP) માટે ડોર-ટુ-ડોર પ્રચાર દરમિયાન સ્થાનિક રહેવાસીઓ સાથે ચર્ચા કરતી વખતે આ વાત કહી હતી.
અમને તક મળશે તો દિલ્હીને ચમકાવી દઈશું- કેજરીવાલ
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ની ચૂંટણી માટે 4 ડિસેમ્બરના રોજ મતદાન થશે. AAP અને BJP બન્ને પાર્ટીઓ ચૂંટણીમાં પોત-પોતાની જીતનો દાવો કરી રહી છે. કેજરીવાલે દાવો કર્યો હતો કે, ‘શહેરમાં દરેક જગ્યાએ કચરો છે. હું સત્તામાં આવીશ તો શહેરને સાફ કરીશ. BJP મને રાત-દિવસ અપશબ્દો બોલે છે. અમે પાણીની વ્યવસ્થા કરી છે, અમે કચરાના નિકાલની જવાબદારી લઈશું. ‘AAP’ને એક તક આપો, અમે શહેરને પહેલાની જેમ સ્વચ્છ બનાવીશું.’ કેજરીવાલે સ્થાનિક રહેવાસીઓને કહ્યું હતું કે, અમે દિલ્હીને ચમકાવી દઈશું. આ પ્રચાર અભિયાન દરમિયાન અનેક મંત્રીઓ પણ કેજરીવાલની સાથે હતા.
BJPના મંત્રીઓ આખો દિવસ મને અપશબ્દો બોલે છે- કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે મ્યુનિસિપ કોર્પોરેશનના ચૂંટણી પ્રચારમાં BJP દ્વારા અનેક મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીઓને મેદાનમાં ઉતારવાની બાબતે કહ્યું હતું કે, મે BJPને એક મ્યુનિસિપલ ચૂંટણીમાં મુખ્યમંત્રીઓ અને અનેક કેન્દ્રીય મંત્રીઓને મેદાનમાં ઉતારતા જોયું છે. જો BJP મહાનગરપાલિકા (MCD) માં કામ કરતી તો તેને પ્રચાર માટે આટલા મંત્રીઓની જરૂર ન પડતી. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ તેમજ પીયૂષ ગોયલ, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે છેલ્લા કેટલાક દિવસોમાં ત્યાં BJP ઉમેદવારો માટે પ્રચાર કર્યો છે. કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે, આ મંત્રીઓ શું કરે છે? તેઓ પોતાના પ્રચારમાં મને માત્ર અપશબ્દો બોલે છે.