કાયદા દ્વારા કોવિડ રસી લેવાથી મૃત્યુ માટે સરકાર જવાબદાર નથી: કેન્દ્ર
કેન્દ્ર સરકારે કોરોના રસીકરણને કારણે થયેલા કથિત મૃત્યુ અંગે કોઈ જવાબદારી લેવાનો ઈન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી એફિડેવિટમાં કેન્દ્રએ કહ્યું કે, તેને મૃતકો અને તેમના પરિવારો પ્રત્યે સંપૂર્ણ સહાનુભૂતિ છે. પરંતુ, રસીની કોઈપણ પ્રતિકૂળ અસર માટે તેને જવાબદાર ઠેરવી શકાય નહીં. આ મામલો ગયા વર્ષે સુપ્રીમ કોર્ટમાં કોરોના રસીકરણના કારણે કથિત રીતે બે યુવતીઓના મૃત્યુને લઈને દાખલ કરવામાં આવેલી અરજી સાથે સંબંધિત છે.
એફિડેવિટ સાથે દાખલ કરવામાં આવેલા જવાબમાં કેન્દ્રએ જણાવ્યું હતું કે, રસીના કારણે મૃત્યુ થયા હોય તેવા કિસ્સામાં સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરીને વળતરની માંગ કરી શકાય છે. આ સોગંદનામું બંને છોકરીઓના માતા-પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં આવ્યું છે. કોવિડ રસીકરણ પછી ગયા વર્ષે તેમનું અવસાન થયું હતું. જેને લઈને અરજીમાં માંગ કરવામાં આવી છે કે, કોવિડ રસીના કારણે મૃત્યુના કેસોની સ્વતંત્ર તપાસ થવી જોઈએ અને રસીકરણ પછી કોઈપણ પ્રતિકૂળ અસર (AEFI) ને સમયસર શોધી કાઢવા અને નિવારક પગલાં લેવા માટે નિષ્ણાત તબીબી બોર્ડની રચના કરવા વિનંતી કરવામાં આવી છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ગત સપ્તાહે અરજીનો જવાબ દાખલ કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું છે કે, રસીની પ્રતિકૂળ અસરોને કારણે બહુ ઓછા મૃત્યુ અને વળતર માટે કેન્દ્રને જવાબદાર ઠેરવવું કાયદેસર રીતે યોગ્ય રહેશે નહીં. બે છોકરીઓના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા કેન્દ્રએ કહ્યું કે, માત્ર એક જ કેસમાં AEFI સમિતિને રસીકરણની પ્રતિકૂળ અસરો કારણભૂત હોવાનું જણાયું હતું. વળતરની અરજદારની માંગને નકારી કાઢતાં, આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, જો કોઈ વ્યક્તિને શારીરિક ઈજા થાય છે અથવા રસીકરણની પ્રતિકૂળ અસરોને કારણે મૃત્યુ પામે છે. તો તે, અથવા તેનો પરિવાર કાયદા મુજબ વળતર અથવા નુકસાનની માંગણી માટે સિવિલ કોર્ટનો સંપર્ક કરી શકે છે. દાવો દાખલ કરી શકે છે.
એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે, બેદરકારી અંગેના આવા કેસ દરેક કેસના આધારે દાખલ કરી શકાય છે. અરજદાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કોલિન ગોન્સાલ્વેસે કહ્યું કે, જો રસીના જોખમો વિશે જાણ કર્યા પછી સંમતિ લેવામાં આવી હોત તો આ મૃત્યુ ન થયા હોત.
તેના પર કેન્દ્રએ કોર્ટને કહ્યું કે, રસી જેવી દવાઓના સ્વૈચ્છિક ઉપયોગ પર સંમતિનો પ્રશ્ન લાગુ પડતો નથી. કેન્દ્ર સરકારે એફિડેવિટમાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે, કોવિડ-19ની રસી મેળવવી કાયદેસર રીતે ફરજિયાત નથી. રસીકરણ વિશેની માહિતી માટે કોઈપણ પ્રકારની સંમતિની જરૂર નથી. જો કે, ભારત સરકાર જાહેર હિતમાં તમામ પાત્ર લોકોને રસી અપાવવા માટે પ્રોત્સાહિત કરે છે. પરંતુ, આ માટે કોઈ કાનૂની જવાબદારી નથી.