શાળાઓ દ્વારા થતી ફી ઉઘરાણી સામે એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન
રખેવાળ ન્યુઝ પાલનપુર : કોરોનાના કહેર વચ્ચે પણ સ્કૂલો દ્વારા ફી ઉઘરાવાતી હોવાના આક્ષેપો સાથે એન.એસ. યુ.આઈ.એ આજે પાલનપુર ખાતે વિરોધ પ્રદર્શન યોજી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી. કોરોનાના કહેરને પગલે લોકડાઉન વચ્ચે વાલીઓ આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં શાળા-કોલેજો દ્વારા ફી ની થતી ઉઘરાણી સામે એનએસયુઆઈએ બાંયો ચડાવી છે.
પાલનપુર ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીનો ઘેરાવ કરી એન.એસ. યુ.આઈ.ના કાર્યકરોએ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા બાદ રામધુન કરી દીધી હતી. બાદમાં એનએસયુઆઈએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી ન્યાયની ગુહાર લગાવી હતી. જોકે, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એ સરકારે કરેલી અપીલને દોહરાવી હતી. શાળા-કોલેજોની મનમાની સામે સરકાર અને પ્રશાસનના આંખ મીંચામણાને કારણે વાલીઓ નિઃસહાય બન્યા છે. ત્યારે એનએસયુઆઈના પ્રમુખ નીતિન પટેલે ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી.