મમતાના કેન્દ્ર પર પ્રહારો અમારા પૈસા આપી દો નહીં તો સત્તા છોડી દો
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે અહીં બિરસા મુંડા જન્મ-જયંતીના દિને તે સ્વાતંત્ર્ય સેનાનીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. તે સાથે તેમણે કેન્દ્રની મોદી સરકાર ઉપર નિશાન સાધતાં કહ્યું હતું કે શું વિકાસ ફંડ માટે મોદીના પગમાં પડી તેની પાસે ભીખ માગવાની છે ?પશ્ચિમ બંગાળને એમજીએનઆરઈજીએ ફંડ નહી આપવા માટે કેન્દ્ર ઉપર આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે કાંતો, કેન્દ્ર અમારા પૈસા આપી દે નહીં તો સત્તા છોડી દે.બીરસા મુંડાની પ્રતિમાના અનાવરણ સમયે અહીં તેમણે એક આદિવાસી સંમેલનને સંબોધન કરતા તેઓનો આ આક્રોશ ઠાલવ્યો હતો.આ કાર્યક્રમ દરમિયાન તેમણે આદિવાસીઓનું પારંપરિક ઢોલ પણ વગાડયું હતું.
તેઓએ વધુમાં કહ્યું હતું કે આદિવાસીઓની જમીન કોઈ આંચકી શકશે નહીં, અમે તેવું થવા પણ દીધું નથી. કેટલાક લોકો દિલ્હીને (કેન્દ્ર સરકારને) તેમ પણ લખે છે કે બંગાળને વિકાસ માટે ફંડ ન આપવા જોઈએ. જો આમ જ થશે તો આપણે ઢોલ, તીર અને કામઠાંથી કેન્દ્ર સરકારના અત્યાચારનો વિરોધ કરવો જોઈએ.મમતા બેનર્જીએ તેમ પણ કહ્યું કે, શું ફંડ મેળવવા માટે મારે મોદીના પગ પકડી ભીખ માગવી ? અમને પૈસા આપી દો નહીં તો સત્તા છોડી દો. જો તમે અમને ફંડ નહીં આપો તો લોકો તમને જીએસટી શું કામ આપે ?