અંકલેશ્વર ભરણ ગામમાં દીપડાએ ઘરમાં ઘૂસીને વૃદ્ધા પર હુમલો કર્યો, ગંભીર હાલતમાં સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડાઇ
ભરણ ગામમાંથી દીપડાના પગના નિશાન મળ્યા, દીપડાના બચ્ચાનો મૃતદેહ પણ મળ્યો
૩ જાન્યુઆરીએ ભરણ ગામમાં દીપડાના હુમલામાં ૫ વર્ષના બાળકનું મોત થયું હતું
ભરૂચઃ અંકલેશ્વર તાલુકાના ભરણ ગામમાં દીપડાએ ઘરમાં ઘૂસીને ફુલીબેન ઊમાદભાઇ વસાવા(૭૦) નામની વૃદ્ધા ઉપર હુમલો કર્યો હતો. જેથી વૃદ્ધાને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
મહિલાની ગંભીર હાલતમાં સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભરણ ગામમાં ગત મોડી રાત્રે વૃદ્ધા ઘરમાં એકલી હતી, ત્યારે અચાનક દીપડો ઘરમાં ઘૂસી આવ્યો હતો. અને ફુલીબેન ઊમાદભાઇ વસાવા પર હુમલો કરી દીધો હતો. જેમાં વૃદ્ધા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. જેથી તુરંત જ સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાંથી વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. જ્યાંથી વૃદ્ધાને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. જ્યાં વૃદ્ધાની સારવાર ચાલી રહી છે.
ભરણ ગામમાંથી દીપડાના બચ્ચાનો મૃતદેહ મળ્યો
ભરણ ગામ પાસેથી દીપડાના બચ્ચાનો મૃતદેહ પણ મળી આવ્યો છે. વન વિભાગે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
૩ જાન્યુઆરીએ દીપડાના હુમલામાં બાળકનું મોત થયું હતું
ઉલ્લેખનિય છે કે, ગત ૩ જાન્યુઆરીના અંકલેશ્વર તાલુકાના છેવાડે આવેલા ભરણ ગામમાં ખેતર વિસ્તારમાં મૂળ મહારાષ્ટ્રના નંદુરબારના પિન્ટુભાઈ વળવી તેની પત્ની સાથે શેરડી કાપવાનું કામ કરી રહ્યાં હતા. તે દરમિયાન તેનું ૫ વર્ષનો બાળક કિશન ખેતરમાં રમી રહ્યો હતો. જેના પર દીપડાએ હુમલો કરીને ખેંચી ગયો હતો. ઘટનામાં ગંભીર રીતે ઇજા પામેલ કિશનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. લોક ટોળા દોડતા બાળક છોડીને ભાગેલા દીપડો આજ દિવસ સુધી પકડાયો નથી.
આભાર – નિહારીકા રવિયા