અનલોક-૨માં ચારધામના દર્શન માટે વ્યવસ્થા શરૂ
નવી દિલ્હી: ૧ જુલાઈથી ઉત્તરાખંડના ચારધામ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામની દર્શન વ્યવસ્થા રાજ્યના લોકો માટે શરૂ કરી દેવામાં આવી છે. પહેલાં દિવસે દેવસ્થાનમ્ બોર્ડની વેબસાઇટ www.badrinath-kedarnath.gov.in થી ૪૨૨ લોકોએ ઈ-પાસ બુક કરાવ્યો છે. આ શ્રદ્ધાળુઓ પોતાની ઇચ્છા પ્રમાણે પસંદ કરેલાં દિવસે દર્શન કરી શકશે.
૧૫૪ લોકોએ બદ્રીનાથ, ૧૬૫ લોકોએ કેદારનાથ, ૫૫ લોકોએ ગંગોત્રી અને ૪૮ લોકોએ યમુનોત્રી મંદિરમાં દર્શન માટે ઈ-પાસ બુક કરાવ્યો છે. બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી રમન રવિનાથને જણાવ્યું કે, બદ્રીનાથ અને કેદારનાથ મંદિરમાં થર્મલ Âસ્ક્રનિંગ, સેનેટાઇઝેશન, માસ્ક વગેરેની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.
મીડિયા અધિકારી ડો. હરીશ ગૌડના કહેવા પ્રમાણે મંદિર પરિસરમાં વિશેષ સ્ટાફ તૈયાર કરી દેવામાં આવ્યો છે. મંદિરમાં મૂર્તિઓનો સ્પર્શ કરી શકાશે નહીં અને પ્રસાદ વહેંચી શકાશે નહીં. ઘંટને કપડાથી ઢાંકી દેવામાં આવ્યો છે. યાત્રા માર્ગમાં ગુપ્તકાશી અને સોન પ્રયાગમાં યાત્રીઓ માટે વિશ્રામ ગૃહ શરૂ કરી દેવામાં આવ્યાં છે. અહીં જરૂરી બધી જ સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.