બનાસકાંઠામાં કોરોના બેકાબુ : વધુ ૧૭ પોઝિટિવ કેસ
રખેવાળ ન્યુઝ પાલનપુર : સરહદી બનાસકાંઠા જિલ્લામાં કાતિલ કોરોના વાયરસ બેકાબુ બની રહ્યો છે. જ્યાં ગુરુવારે વધુ ૧૭ પોઝિટિવ કેસ નોંધાયા હતા. પાલનપુર શહેરમાં ૩, પાલનપુર તાલુકામાં ૩, વડગામ તાલુકા માં ૧ અને ડીસામાં ૧૦ નવા કેસ સામે આવતાં પ્રજાજનોમાં ભારે ફફડાટ પ્રસરી ગયો છે. આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક સહિતના નિયમોનું કડક રીતે પાલન થાય તે માટે કાર્યવાહી વધુ સઘન બનાવી દેવામાં આવી છે.
સરહદી બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા છ દિવસથી કોરોના વાયરસ બેકાબુ બની કહેર મચાવી રહ્યો છે. જેમાં પણ છેલ્લા ત્રણ દિવસમાં જ ૪૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. આવી સ્થિતિમાં ગુરુવારે કોરોનાનો વિસ્ફોટ થયો હતો. અને એક સાથે વધુ ૧૭ કેસ નોંધાતા પ્રજાજનોમાં ફફડાટ પ્રસરી ગયો હતો. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનિષ ફેન્સીએ જણાવ્યું હતુ કે, પાલનપુર શહેરમાં ૩, ડીસામાં ૧૦ અને વડગામના ધોતામાં ૧, પાલનપુર તાલુકાના ચંડીસર, પટોસણ અને કાણોદરમાં ૧-૧-૧ પોઝિટિવ કેસ નોંધાયો હતો. જેમને કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે તેમના સંપર્કમાં આવેલા પરિવાર તેમજ અન્ય લોકોને હોમ કોરેન્ટાઇન કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. તેને કન્ટેઇન્ટમેન્ટ એરિયા જાહેર કરી દેવામાં આવ્યા છે. દરમિયાન જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૨૪૧ પહોંચી છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૧૨ થયો છે.