![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/11/Rakhewal-95.jpg)
કડીના રંગપુરડા ગામની સીમમાં નર્મદા નહેરનું પાણી 20 વીઘા ડાંગરના ઉભા પાકમાં ફરી વળ્યું
કડીના કરણનગરથી સૌરાષ્ટ્ર તરફ જતી નર્મદાની મુખ્ય નહેરનું પાણી રંગપુરડા ગામની સીમમાં 20 વીઘા જમીનમાં ડાંગરના ઉભા તૈયાર પાકમાં ફરી વળ્યા હતા. મોંઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ જતાં વળતર માટે રજૂઆત કરવા જતાં સૌરાષ્ટ્ર નર્મદા નહેર વિભાગના અધિકારીએ હડધૂત કરતાં ખેડૂતોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે.
સૌરાષ્ટ્ર તરફની નર્મદાની મુખ્ય નહેરમાં બોરીસણા નજીક પાવર હાઉસ બનાવેલું છે. આ પાવર હાઉસ માટે કેનાલનું પાણી રોકી પાણીનું સ્તર ઉંચુ લવાય છે. જેના કારણે માત્ર ઈંટોથી સજ્જ નર્મદા કેનાલના પાણી ઝમીને આસપાસની ઉપજાઉ જમીનોમાં પથરાય છે. ઝમા અને લીકેજ પાણીના નિકાલ સારૂ કેનાલના પાળાની પાસે કાંસ બનાવી છે, જેમાં ભરાતા પાણીનો યોગ્ય નિકાલ કરી શકાય.