વોડા-આઈડિયાને 2019-20માં 73,878 કરોડની જંગી ખોટ
અત્યાર સુધી દેશની કંપનીને સૌથી મોટી ખોટદેશની ત્રીજા નંબરની સૌથી મોટી ટેલિકોમ કંપની વોડાફોન-આઈડિયાને નાણાકીય વર્ષ 2019-20માં રૂ. 73878 કરોડની ચોખ્ખી ખોટ થઈ છે. કોઈપણ ભારતીય કંપનીને થયેલી તે અત્યારસુધીની સૌથી મોટી ખોટ છે. નાણા વર્ષ 2018-19માં આ ખોટ રૂ. 14603.9 કરોડ હતી. એજીઆરની બાકી જોગવાઈને લીધે કંપનીને આટલી મોટી ખોટ થઈ છે. કંપની પર રૂ. 51,400 કરોડની એજીઆર બાકી છે.
સુપ્રિમ કોર્ટે કંપનીને આદેશ આપ્યો હતો કે, તે એજીઆર બાકીનો રોડમેપ તૈયાર કરી તેની ચૂકવણી કરે. વોડફોન-આઈડિયાએ જણાવ્યુ હતુ કે, માર્ચ ત્રિમાસિક દરમિયાન કંપનને કુલ રૂ. 11643.5 કરોડની ચોખ્ખી ખોટ થઈ હતી. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 4881.9 કરોડ હતી. જો કે, કંપનીની ગ્રાહકદીઠ રેવન્યુ સુધરી રૂ. 121 થઈ છે. ડિસેમ્બરમાં રૂ. 109 હતી. પરિણામો બાદ કંપનીનો શેર 4.52 ટકા ઘટી રૂ. 10.14 પર બંધ રહ્યો હતો.
એજીઆર બાકી અંગે કંપનીએ જણાવ્યુ હતુ કે, તેણે રૂ. 46 હજાર કરોડની અંદાજિત ચૂકવણીને માન્યતા આપી છે. ઉલ્લેખનીય છે કે, વોડફોન-આઈડિયાએ ઈન્ડસ-ઈન્ફ્રાટેલ વિલય પૂર્ણ થવા પર ઈન્ડસ ટાવર્સમાં 11.15 ટકા હિસ્સા સાથે કમાણી કરવા યોજના બનાવી છે. હાલમાં જ જારી ટ્રાઈના આંકડાઓ અનુસાર, કંપની ગ્રાહકની સંખ્યાના આધારે દેશમાં બીજાથી ત્રીજા ક્રમે પહોંચી છે. છેલ્લા કેટલાક સમયથી મોટા ભાગની ટેલિકોમ કંપનીઓએ કોલદર વધાર્યા છે જેના કારણે હવે સપોર્ટ મળી રહેશે.