બનાસકાંઠામાં કાતિલ કોરોનાનો કહેર : વધુ ૧૫ કેસથી ફફડાટ
રખેવાળ ન્યુઝ પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં કાતિલ કોરોના વિકરાળ રૂપ ધારણ કરી કાળો કહેર વર્તાવી રહ્યો છે. કોરોના પાલનપુર નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને વેપારી સહિત બે વ્યક્તિઓને ભરખી ગયો હતો. જયારે બીજા ૧૫ નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેના પગલે જિલ્લાવાસીઓ ફફડી ઉઠ્યા છે. જિલ્લામાં કોરોનાનો કુલ આંક ૨૨૪ પહોચ્યો છે. ત્યારે અત્યાર સુધીમાં ૧૨ વ્યકિતના મોત નિપજી ચૂક્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી કાતિલ કોરોના વાયરસે વિકરાળ રૂપ ધારણ કર્યું છે. જ્યાં બુધવારે કોરોનાનો વિસ્ફોટ થયો હતો. અને એક સાથે વધુ ૧૫ કેસ નોંધાતા પ્રજાજનોમાં ફફડાટ પ્રસરી ગયો હતો. સાથે સાથે કોરોનાથી બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. જેમાં પાલનપુર નગરપાલિકાના ભાજપ ના પૂર્વ કોર્પોરેટર એવમ્ પૂર્વ કારોબારી ચેરમેન તથા સિંધી સમાજના અગ્રણી વેપારી તુલસીભાઈ લોહાણાનો ત્રણ દિવસ અગાઉ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમનું બુધવારે પાલનપુર કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે મંગળવારે પોઝિટિવ આવેલા હરિસિંહ ખૂબચંદ યાદવનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. એક જ દિવસમાં બે વ્યક્તિઓના મોતથી શહેરીજનોમાં ભારે ફફડાટ પ્રસરી ગયો છે. આ ઉપરાંત જિલ્લામાં વધુ ૧૫ કેસ પોઝિટિવ નોંધાયા હતા. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનિષ ફેન્સીએ જણાવ્યું હતુ કે, પાલનપુરમાં ૫, ડીસા ૮, વાવ ૧ અને ભાભરમાં ૧ કેસ પોઝિટિવ નોંધાયો હતો. જેમને કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે તેમના સંપર્કમાં આવેલા પરિવાર તેમજ અન્ય લોકોને હોમ કોરેન્ટાઇન કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરમિયાન જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૨૨૪ પહોંચી છે. જ્યારે બે દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક ૧૨ થયો છે. ડીસામાં એક પત્રકાર મેહુલ ખત્રીનો રિપોર્ટ કોરોના પોઝીટિવ આવતા પત્રકાર આલમ સહિત અધિકારીગણ માં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે આમ ડીસામાં બુધવારે કોરોના પોઝીટિવના ૮ કેસ સામે આવ્યા છે.